દ્વારકા પાસેના વચલી ઓખા મઢી ગામ પાસે અંધશ્રધ્ધામાં 25 વર્ષીય મહિલાનું મોત થયું હતું. ત્યારે હવે આ મામલે 5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.
અંધશ્રદ્ધાએ દ્વારાકામાં મહિલાનો ભોગ લીધો
ભુવાઓએ મહિલાને મસાણની મેલડી આવી કરીને માર્યો માર
5 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો
ગુજરાતમાં અંધશ્રદ્ધા મામલે લોકોના હૃદય દ્રવી ઉઠે તેવો બનાવ બન્યો છે. દ્વારકાના વચલી ઓખા મઢી ગામ પાસે અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરી દેવાઇ છે. 25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઇ હતી. મૃતક મહિલાની એવી હાલત કરી દેવાઇ છે કે અમે તેના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી. મહિલાના મૃતદેહને દ્વારકા પી.એમ અર્થે ખસેડાયા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
મૃતક મહિલાને 3 સંતાનો છે, અંધશ્રદ્ધામાં પરિવાર વિખેરાયો
મૃતક 25 વર્ષીય રમીલાબેન વાલાભાઈ સોલંકી આરંભડાની રહેવાસી હોવાનું અને સંતાનમાં 3 સંતાનો હોવાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનો પરિવારનો માળો અંધશ્રધ્ધામાં વિખેરાયો મૃતક મહિલાના ત્રણ સંતાનોમાં પુત્ર 6 વર્ષ, બે પુત્રી જેમાં એક 4 વર્ષની બીજી પુત્રી 2 વર્ષની છે.
ભુવાઓએ મહિલાને મસાણની મેલડી આવી કરીને માર્યો માર
વિકસિત ગુજરાતમાં અંધશ્રધ્ધામાં એક મહિલા હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોઈ એવું જણાવી મેલું કાઢવા ઢોર માર મારવામાં આવતા મહિલાનું મોત થયું હતું. ભુવાઓએ મહિલાને મસાણની મેલડી આવી કરીને માર માર્યો હતો. આમ,વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો.
5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
મહિલાને ઘાટ ઉતારી દેનાર ઘરના જ ભૂવાઓ નીકળ્યા તમામ 5 આરોપી મહિલાના દેર અને જેઠ હોઈ તમામ ભુવાઓ હોઈ સાથે મળી મેલું કાઢવા સાંકળો મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે સમગ્ર મામલે તમામ 5 ભુવા આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપશે. આ સમગ્ર ઘટનાને લઇને DySP સહિતની પોલીસ વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે.
પછાત માનસિકતા-ઘટનાનું કારણ
સમાજનો ગ્રામીણ વિસ્તાર પછાત છે અથવા તો પછાત માનસિકતા ધરાવે છે. ભૂત અને વળગાડ જેવી બાબતોને લઈને સંવેદનશીલ ગ્રામવાસીઓ કહેવાતા ભૂવાનાં વશીકરણમાં સર્વસ્વ હોમી દેતા અચકાતા નથી. ત્યારે દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના આજની માનસિકતાની ચાડી ખાય છે. કઈ સદીમાં જીવતા લોકો આવા શરણે જઈને જીવનું જોખમ વહોરે છે તેનો આ સચોટ કિસ્સો છે.
ત્યારે સવાલ થાય છે કે, ટેક્નોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધા ક્યાં સુધી? ભણેલો ગણેલો વર્ગ હજુ સુધી કેમ સમજતો નથી? શિક્ષિત વર્ગ હજુ કેમ અંધશ્રદ્ધામાં માને છે? મૃતક મહિલાનો આખરે શું વાંક હતો? કેમ ભુવાઓ હવે પોતાને ભગવાન ગણવા લાગ્યા છે? તમે કોઈ મહિલાને શરીર પર ડામ કેવી રીતે આપી શકો? ડામ આપવાથી કયુ દુઃખ દૂર થાય છે? કોઈને વેદના આપવાથી દુઃખ દૂર થાય તેવા કોઈ પુરાવા છે? મહિલાને સાંકળ મારવાથી વળગાળ દૂર કેવી રીતે થઈ શકે? ભુવાના નામે ધતિંગ કરનારા વિરુદ્ધ ક્યારે થશે કાર્યવાહી? મહિલા સાથે આટલી હદે ઉત્યાચાર કરવાનો અધિકાર કોણે આપ્યો?