મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આજે આક્રમક બની છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ બની આક્રમક
આજે કોંગ્રેસ દ્વારા અપાયું છે રાજ્યવ્યાપી બંધનું એલાન
ક્યાંક બંધની અસર દેખાઇ તો ક્યાંક નહિવત અસર દેખાઇ
ગુજરાત કોંગ્રેસે આજે સવારના 8થી 12 વાગ્યા સુધી આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. ત્યારે ક્યાંક-ક્યાંક બંધની અસર જોવા મળી રહી છે તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર જોવા મળી રહી છે. ત્યારે અહીં જોઇશું કે ગુજરાત બંધના એલાનની સમગ્ર રાજ્યમાં હાલ કેવી અસર જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, ગઇકાલે સ્વયં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. ત્યારે આજે સુરતમાં કોંગીઓ અનોખો વિરોધ કરી રહ્યાં છે. બંધને સફળ બનાવવા કોંગીઓએ વેપારીઓને ગુલાબ આપી બંધ જોડાવવા અપીલ કરી છે.
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં પણ સવારથી જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી.બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી.
ભિલોડા ખાતે પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યું
બીજી બાજુ અરવલ્લીમાં મોંઘવારી મામલે ભિલોડા ખાતે પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધ મામલે પોલીસનો અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો વડોદરામાં બંધની નહિવત અસર જોવા મળી છે. આથી અહીં કોંગી નેતાઓ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. નિઝામપુરા વિસ્તારમાં નરેન્દ્ર અને અમીબેન રાવત દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જોકે છાણી ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું.
આજે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન કરવામાં આવતા પાટણના રાધનપુરમાં પણ કોંગ્રેસ દ્વારા બજાર બંધ રાખવાની વેપારીઓને અપીલ કરાઇ હતી. મહિલા સહિતના કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે તમને જણાવી દઇએ કે, પાટણ અને રાધનપુરમાં બંધની અસર જોવા મળી રહી છે. પાટણ અને રાધનપુરમાં મોટા ભાગના બજાર બંધ જોવા મળ્યા.
તો બીજી બાજુ રાજકોટમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે કોંગ્રેસે વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરી હતી. ત્યારે કોંગી નેતા હેમાંગ વસાવડાની અટકાયત કરાઇ હતી. મહત્વનું છે કે, કોંગી નેતાઓએ આજે સવારના 8થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન આપ્યું છે. એ સિવાય આંકલાવ ખાતે પણ બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આંકલાવનું બજાર અને દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.
મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દાઓને લઇ આજે ગુજરાત બંધનું એલાન
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે ધીરે-ધીરે આગળ વધી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે રાજ્ય સરકારને ઘેરવા આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિએશનને મળીને વિનંતી કરી હતી. ત્યારે આજે રાજ્યમાં ઠેર-ઠેર કોંગી નેતાઓ વેપારીઓને દુકાનો બંધ રાખવાની અપીલ કરી રહ્યાં છે.