રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલુ રહ્યું હતું. અત્યાર સુધીનો સૌથી વધુ સમય માટેનો આ રેકોર્ડ નોંધાયો છે. 26 જુલાઈના રોજ વિધાનસભામાં 17 કલાક અને 40 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી.
આ અગાઉ 1993માં બપોરે 12 કલાક અને 8 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી. ગઇકાલે સવારે 10 વાગ્યાથી ગૃહ રાત્રે એક વાગ્યા પછી પણ ચાલુ રહ્યું હતું અને અચોક્કસ સમયમર્યાદા સુધી ચાલે તેવું જણાતાં રાત્રિના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવ હતી.
વિધાનસભા ગૃહમાં સવારે 10 કલાકે હાથ ધરાયેલી બેઠક સામાન્ય રીતે 2.30 કલાકે પૂરી થઈ જાય છે, પણ શુક્રવારે હાથ ધરાયેલા સત્રમાં નવ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, શહેરી વિકાસ, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલી હતી.
જો કે ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની સૌથી લાંબી ચાલેલી કાર્યવાહને લઇને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સૌના સહકારથી શાંતિથી સત્ર પૂરુ થઇ ગયું. આજે અજાણતાં એક ખૂબ મોટો રેકોર્ડ બન્યો છે.
જ્યારે સત્રના સમાપનને લઇને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે પ્રજાકીય કામોને લગતા સરકાર કામકાજ પસાર કરાયાં. જ્યારે સત્ર શાંતિપૂર્ણ રીતે પ્રેમ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પુરુ થયું.
જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોકશાહીના મંદિરમાં લોકોની સમસ્યાઓનું સમાધાન થાય છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે સરકારી કામકાજના 9 બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યાં હતા.