માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાની જાહેરમાં સ્પષ્ટતા, મને હજુ સુધી કઈ કહેવા માટે આવ્યું નથી, મારા ભાજપમાં જવાની ખોટી અફવાઓ
ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસમાં પડશે મોટું ભંગાણ?
ભાજપમાં જોડાયેલા નરેશ રાવલનું સ્ફોટક નિવેદન
6 થી 7 કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાશેઃ નરેશ રાવલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસને પક્ષપલટાનો આંચકો લાગી શકે છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કેસરિયા કરી શકે છે.
6 થી 7 કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાશે: નરેશ રાવલ
ઘણા સમયથી 6-7 કોંગી ધારાસભ્યો ભાજપ ગમન કરશે તેવી વાતો વહેતી થતાં રાજકારણ ગરમાયું હતું તે આગમાં ઘી રેડવાનું કામ હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરેશ રાવલે કર્યું છે. ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડશે તેવા સ્ફોટક નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસમાંથી બાંધછોડ સાથે 7 જેટલા ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો કોંગ્રેસ છોડવા તૈયાર બેઠા હોવાની હામ ભરી છે.
આ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે
ચિરાગ કાલરીયા - જામજોધપુર
હર્ષદ રીબડીયા - વિસાવદર
સંજયભાઈ સોલંકી - જંબુસર
મહેશ પટેલ - પાલનપુર
ભાવેશ કટારા - જાલોદ
લલિત વસોયા - ધોરાજી
મારા નામની ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવી: બાબુ વાજા
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્ક હોવાના દાવાના મામલે માંગરોળના કોંગ્રેસ ધારાસભ્ય બાબુ વાજાએ જાહેરમાં સ્પષ્ટતા કરી છે. જૂનાગઢમાં કોંગ્રેસના મેનીફેસ્ટો કાર્યક્રમમાં કહ્યું કે 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી, બાદમાં વધુ 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે. વિમલ ચુડાસમા, અમરીશ ડેર અને મારા નામનો ઉલ્લેખ કરાયો છે. પણ હું ચોખવટ કરવા માંગુ છું કે મને હજુ સુધી કોઈ કઈ કહેવા માટે આવ્યુ નથી. મારા નામની ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવી છે.
વર્ષ 2017 બાદ કોંગ્રેસના કયા MLA ભાજપમાં જોડાયા?
ધારાસભ્ય
બેઠક
કુંવરજી બાવળિયા
જસદણ
જે.વી કાકડિયા
ધારી
જવાહર ચાવડા
માણાવદર
મંગળ ગાવિત
ડાંગ
જીતુ ચૌધરી
કપરડા
પરસોત્તમ સાબરિયા
ધ્રાંગધ્રા
અલ્પેશ ઠાકોર
રાધનપુર
પ્રવિણ મારુ
ગઢડા
બ્રિજેશ મેરજા
મોરબી
સોમાભાઈ પટેલ
લીંબડી
આશાબેન પટેલ
ઊંઝા
પદ્યુમનસિંહ જાડેજા
અબડાસા
અક્ષય પટેલ
કરજણ
અશ્વિન કોટવાલ
ખેડબ્રહ્મા
ધવલસિંહ ઝાલા
બાયડ
કોંગ્રેસ ચૂંટણી પહેલા સાવ તૂટી જશે?
કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે નારાજ થયા કરે છે અને ભાજપમાં રાજી રાજી જોડાતા રહે છે. આ તરફ આ પક્ષપલટાથી કોંગ્રેસનું પેટનું પાણી પણ હલતું નથી અને જાહેર મંચ પરથી એમ કહ્યા કરે છે કે જેને જવુ હોય એ જાય, એવા પાંચ પચ્ચીસ જવાથી અમને ફરક પડતો નથી. હાલ ધારાસભ્યો તૂટવાની વાતથી ખુદ કોંગ્રેસ પણ અજાણ છે તેવું પણ નથી. કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીને પણ એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે અને તેની પાછળના કારણો પણ છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના ક્યા ધારાસભ્યો છે, જે પાર્ટી છોડવાની ફિરાકમાં છે ? કેમ કોંગ્રેસના નેતાઓ ભાજપ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે? શું કોંગ્રેસ પાર્ટી તેમના ધારાસભ્યોની સાચવી શકતી નથી?