ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હલચલ તેજ. ગુજરાત કોંગ્રેસમાંથી કોણ હશે સીએમનો ચહેરો ?
ગુજરાત કોંગ્રેસમાંથી સીએમના ચહેરા અંગે જાહેરાત
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કરી જાહેરાત
પાર્ટી સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધી તેજ બની છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ એક મહત્વનુ નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસ કોઇ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત જાહેર નહી કરે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ જણાવ્યુ કે પાર્ટી સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડશે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં પણ સામૂહિક નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી રહી છે.
શું કહ્યુ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ?
રવિવારે જયપુરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રઘુ શર્માએ જણાવ્યુ કે કોંગ્રેસે અપવાદને છોડીને કોઇપણ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં સીએમનો ચહેરો જાહેર કર્યો નથી. આગામી મહિનામાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં પણ સામૂહિકરૂપે ચૂંટણી લડવામાં આવશે. ગુજરાત અંગે વાત કરતા જણાવ્યુ કે કોંગ્રેસે ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ કરી છે. જેમાં કોરોનાથી મોત થનાર લોકો અંગે જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. તેઓના પરિજનો પાસે ઘરે ઘરે જઇને એક લાખ ફોર્મ ભરાવવામાં આવ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે ગુજરાતમાં કોરોનાકાળમાં ત્રણ લાખ લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાત સરકાર પર લગાવ્યા આરોપ
રઘુ શર્માએ ગુજરાત સરકાર પર આરોપ લગાવતા જણાવ્યુ કે ગુજરાત સરકાર મૃતકોના સાચા આંકડા નથી જણાવી રહી. કોવિડ દરમિયાન દેશમાં સૌથી વધુ મોત ગુજરાતમાં થયા છે. આ મોત ભાજપ સરકાર દ્વારા કોરોના અંગે કોઇ મેનેજમેન્ટ ન કરવાને કારણે થયા છે. કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિજનોને સરકારે અત્યાર સુધીમાં કોઇ પણ પ્રકારની સહાયતા પુરી પાડી નથી.