ખેડૂતો, રોજગારી,અને નાના ઉદ્યોગો માટે મોટી જાહેરાતો થશે તેવા વરતારા, અનુમાન મુજબ આ બજેટ 2.35 લાખ કરોડથી વધારે હોવાની શક્યતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ
ખેડૂતો, યુવાનો,ઉદ્યોગકારો માટે જાહેરાતોની થશે લ્હાણી
ગૃહ વિભાગનું બજેટ છેલ્લા 8 વર્ષમાં 900%થી વધુ વધ્યું
આવતીકાલ બુધવારને 2 માર્ચથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી આ બજેટ 2.35 લાખ કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે.
ગુજરાતના બજેટ વિશે જાણી અજાણી વાતો
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.
3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું બજેટ
ગુજરાતમાં વિવિધ તબક્કે કોઈકને કોઈક કારણોસર રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું. જેતે સમયે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 77 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.
18 વખત વજુભાઈ વાળાએ તો 9 વખત નીતિનભાઈ પટેલે બજેટ કર્યું રજૂ
ગુજરાતમાં 77 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. જ્યારે નીતિન પટેલે 9 બજેટ રજૂ કર્યાં છે. રૂપાણી સરકારમાં તત્કાલીન નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2021માં રજૂ કર્યું હતું.
કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે
બજેટ સત્રમાં બે સુધારા વિધયકો પસાર કરવામાં આવશે
કૃષિ વિભાગ અને મહેસુલ વિભાગના સુધારા વિધાયક પસાર કરાશે
કૃષિ યુનિવર્સિટીને લગતા સુધાર વિધયક રજૂ થશે
સરકારી બિલો પર 4 દિવસ વિધાનસભામાં ચર્ચા થશે
ખેડૂતો ડ્રોન મારફતે દવા છાંટે તેને લઈને પ્રોત્સાહિત રકમની થઈ શકે જાહેરાત
કેન્દ્ર સરકારનું બજેટ 2022 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેતી પર ભાર મૂક્યો હતો અને ડ્રોન સહિત આધુનિક ઉપકરણો માટે સબસિડીની જાહેરાત કરી હતી. ખેડૂતોને લાભદાયક થયા તે હેતુથી એક વિશેષ ઝુંબેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના વિવિધ શહેરો અને નગરોમાં ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે 100 ખેડૂત ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ગુજરાતના નવસારી, પાટણ શહેર જોડાયા હતા. જેથી કરીને ગુજરાત સરકારના બજેટમાં ડ્રોન ખેતીને પ્રોત્સાહન આપવા કોઈ મોટી જાહેરાત કરાઇ શકાય છે.
બજેટમાં કયા ક્ષેત્ર પર અપાશે ભાર?
ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.
ગૃહ વિભાગનું બજેટ છેલ્લા 8 વર્ષમાં 900%થી વધુ વધ્યું
તત્કાલીન સીએમ આનંદીબેન પટેલ અને રૂપાણી સરકારના 8 વર્ષોમાં ગૃહ વિભાગને ફાળવવામાં આવતી રકમમાં 900 ટકાથી વધુનો વધારો થયો છે. ગૃહ વિભાગને 2014-15 767, 2015-16 500, 2016-17 1700, 2017-18 5000, 2018-19 5420, 2019-20 5775, 2020-21 7503, 2021-22 7960 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેની સામે ક્રાઈમ રેસિયો પણ ડબલ થઈ ગયો છે. ત્યારે હવે ભૂપેન્દ્ર સરકારમાં ગૃહ વિભાગને ફાળે કેટલી રકમ જાય છે તેને લઈને સળવળાટ શરૂ થઈ ગયો છે.
વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી બજેટનું કદ મોટું હોવાની સંભાવના
રાજ્યના વિકાસ માટે સરકારલાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે.શહેર અને ગામડાની જનતાને સુવિધાઓ અને ભૌતિક સુખાકારી મળી રહે તે માટે આયોજનો થાય છે.દર વર્ષે જનતાને બજેટના ભાગરૂપે વિવિધ યોજનાઓની જાહેરાત પણ કરાય છે. ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેની કામગીરીના આયોજન હેતુસર ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી આ બજેટ 2.35 લાખકરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે.બજેટ 3 માર્ચે રજૂ થશે. જેમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભામાં અંદાજ પત્ર પર ચાર દિવસ ચર્ચા ચાલશે. તો પૂરક માગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. જ્યારે સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભા સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે.
બજેટ સત્ર તોફાની રહે તેવા પૂરેપૂરા એંધાણ
બજેટ સત્ર માટે સરકાર અને વિપક્ષ બંનેએ તૈયારીઓ કરી લીધી છે. આ બજેટ સત્ર હંગામી રહે તેવા પૂરેપૂરા એંધાણ છે. બેરોજગારી, ખેડૂતો, અને શિક્ષણ, અને ભરતી કૌભાંડ, મોંધવારી મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્લાન બનાવી ચૂક્યું છે. સામે પક્ષે સરકારે પણ તમામ પ્રશ્નોના વળતાં જવાબ માટે રણનીતિ નક્કી કરી લીધી છે.
કુલ 26 બેઠકમાં મળશે 14મી વિધાનસભાનું 10મુ સત્ર
ગુજરાત વિધાનસભાનું સત્ર 2 માર્ચથી શરૂ થશે અને 31 મી માર્ચ સુધી ચાલશે.14મી વિધાનસભાનું 10મુ સત્ર કુલ 26 બેઠકમાં મળશે.આ સત્રમાં બજેટ દરમિયાન 9 રજામાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહી.તો આ વિધાનસભા સત્રમાં કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.સામાજિક અંતર સાથે સભ્યોની બેઠક વ્યવસ્થા કરાશે.આ સત્રમાં ગૃહમાં પ્રવેશ માટે કોરોનાના ટેસ્ટ ફરજિયાત નહી હોય પરંતુ રસીના 2 ડોઝના સર્ટિફિકેટ ચકાસીને જ ગૃહમાં પ્રવેશ આપવામાં આવી શકે છે.