રાજ્યના વિકાસ માટે સરકારલાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે.શહેર અને ગામડાની જનતાને સુવિધાઓ અને ભૌતિક સુખાકારી મળી રહે તે માટે આયોજનો થાય છે.દર વર્ષે જનતાને બજેટના ભાગરૂપે વિવિધ યોજનાઓની જાહેરાત પણ કરાય છે. ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેની કામગીરીના આયોજન હેતુસર ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આવતીકાલ બુધવારને 2 માર્ચથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી આ બજેટ 2 લાખ કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે.
3 માર્ચે ગુજરાતનું બજેટ રજૂ થશે
બજેટ 3 માર્ચે રજૂ થશે. જેમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભામાં અંદાજ પત્ર પર ચાર દિવસ ચર્ચા ચાલશે. તો પૂરક માગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. જ્યારે સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભા સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ, તે સાથે જ વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ છે.
બજેટ સત્ર હંગામી રહે તેવા પૂરેપૂરા એંધાણ
બજેટ સત્ર માટે સરકાર અને વિપક્ષ બંનેએ તૈયારીઓ કરી લીધી છે. આ બજેટ સત્ર હંગામી રહે તેવા પૂરેપૂરા એંધાણ છે. બેરોજગારી, ખેડૂતો, અને શિક્ષણ, અને ભરતી કૌભાંડ, મોંધવારી મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્લાન બનાવી ચૂક્યું છે. સામે પક્ષે સરકારે પણ તમામ પ્રશ્નોના વળતાં જવાબ માટે રણનીતિ નક્કી કરી લીધી છે.
કુલ 26 બેઠકમાં મળશે 14મી વિધાનસભાનું 10મુ સત્ર
ગુજરાત વિધાનસભાનું સત્ર 2 માર્ચથી શરૂ થશે અને 31 મી માર્ચ સુધી ચાલશે.14મી વિધાનસભાનું 10મુ સત્ર કુલ 26 બેઠકમાં મળશે.આ સત્રમાં બજેટ દરમિયાન 9 રજામાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહી.તો આ વિધાનસભા સત્રમાં કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.સામાજિક અંતર સાથે સભ્યોની બેઠક વ્યવસ્થા કરાશે.આ સત્રમાં ગૃહમાં પ્રવેશ માટે કોરોનાના ટેસ્ટ ફરજિયાત નહી હોય પરંતુ રસીના 2 ડોઝના સર્ટિફિકેટ ચકાસીને જ ગૃહમાં પ્રવેશ આપવામાં આવી શકે છે.
કોંગ્રેસ રાજનીતિ કરવાનો જ પ્રયાસ કરી રહી છે: જીતુ વાઘાણી
કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં બે વિધયકો મુકાયા હોવાની માહિતી ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી છે.બેઠકમાં કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ જેઠવા પણ હાજર રહ્યા હતા. ત્યારે જીતુ વાઘાણીએ બજેટ કામગીરી બાબતે મળેલી આ બેઠકમાં કોંગ્રેસનું વલણ રાજકીય રહ્યુ હોવાના આરોપ સાથે કહ્યું હતું કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને સ્થાને કોંગ્રેસ રાજનીતિ કરી રહ્યું છે.'જેમના મનમાં ખોટ હોય તે નકારાત્મક જ વિચારે નિયમ અનુસાર 26 બેઠકો નક્કી કરવામાં આવી છે અને વિધાનસભાની કામગીરી માટે પુરતા દિવસો આપવામાં આવ્યા છે પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા બેઠકમાં પણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ કામથી ભાગી રહી છે'. ત્યારે વળતાં જવાબમાં કોંગ્રેસે કહ્યું હતું કે વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવામાં આવે, સરકારે એક પણ માંગણી વિપક્ષની સ્વીકારી નથી. બેરોજગારી , પેપરકાંડ, કાયદો વ્યવસ્થા અંગે બજેટ દરમિયાન વ્યપાક ચર્ચા થાય તેવી માંગ છે.
બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું હતું?
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં રાખવામાં આવેલી આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ તેમજ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન સત્રના કામકાજના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.