ગત વર્ષ 2017માં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર રોડ કૌભાંડ ગાજ્યું હતું. તેમ જ તંત્ર દ્વારા રોડ કૌભાંડની તપાસનીકામગીરીના પહેલા તબક્કા હેઠળ 85 ઇજનેર-અધિકારીઓ પાસેથી રૂ.63.58 લાખની પેનલ્ટી વસૂલાઇ હતી અને હવે બીજા તબક્કામાં હવે બે સિટી ઇજનેર સહિત 23 ઇજનેરને ચાર્જશીટ ફટકારાઇ છે.
મનપાના ઇતિહાસનું સૌથી મોટું રોડ કૌભાંડ
23 ઇજનેરને ચાર્જશીટ ફટકારાઇ
78 થી વધુ રોડમાં ડામરચોરી થઇ
દરમ્યાન સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર વર્ષ 2017ના રોડ કૌભાંડની તપાસ આગામી છ મહિનામાં એટલે કે તા.1 જુલાઇ 2020 સુધીમાં પૂરી કરવાનો તંત્રે દાવો કર્યો છે. જોકે મ્યુનિ. કોર્પો.માં જે તે જુના કૌભાંડોમાં ઢાંકપિછોડો કરાયો છે અને તપાસના નામે કિંમતી સમય વેડફાયો છે તેને જોતાં આગામી છ મહિનામાં તપાસ પૂરી કરી શકાશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.
પરંતુ તાજેતરમાં તંત્રે આ તમામ ઇજનેરોને ચાર્જશીટ ફટકારતા તેમની સામે નિવૃત્ત જજ પાસે તપાસ કરાવી કાયદેસરનાં પગલાં લેવાનો માર્ગ મોકળો થયો છે.
મેટ્રોપોલિટન કોર્ટના નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીને આ સમગ્ર મામલાની તપાસ સોંપાઇ છે. પરંતુ આની પહેલા તમામ 23 ઇજનેરોએ ચાર્જશીટમાં રજુ કરાયેલા મુદ્દાઓ અંગે એક મહિનામાં જવાબ રજૂ કરવો પડશે. આ માટે તેમને આગામી તા. 23 જાન્યુઆરી 2020 ની મુદત અપાઇ છે. બાદમાં નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદી સુનાવણી હાથ ધરશે.
દરમ્યાન ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રાજેશ કે. મહેતા કહે છે, સંબંધિત વિભાગને છ મહિનામાં તપાસ પૂરી કરવાની મેં તાકીદ કરી છે. દરમ્યાન પ્રથમ તબક્કાની તપાસમાં 85 ઇજનેર, અધિકારી ઓછા કસુરવાર પુરવાર થાય છે તેમને કુલ રૂ.62.58 લાખનો દંડ ફટકારીને દોષમુક્ત જાહેર કરાયા હતા. પરંતુ ચાર્જશીટ મેળવનાર 23 ઇજનેર સામે કમિશનરને મળેલી સત્તાની રૂએ નોકરીમાંથી કાઢી મૂકવા, સસ્પેન્ડ કરવા કે ઇન્ક્રિમેન્ટ રોકવા સહિતના કડક પગલાં લેશે.
78 થી વધુ રોડમાં ડામરચોરી થઇ
બે વર્ષ પહેલાના રૂ.450 કરોડના રોડ કૌભાંડમાં તંત્રની પ્રાથમિક વિજિલન્સ તપાસ હેઠળ કુલ 78 થી વધુ રોડમાં ડામરચોરી થઇ હોવાનું ખૂલ્યું હતું. નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 32 રોડ તૂટ્યા હતા. જોકે તે વખતના નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના વડા નરેન્દ્ર મોદીને સિટી ઇજનેરનું પ્રમોશન અપાયું છે. આ ઉપરાંત તેઓ ટૂંક સમયમાં રિટાયર થવાના છે એટલે નવો વિવાદ ઊઠ્યો છે.
11 કોન્ટ્રાકટરો પાસેથી રૂ.9.04 કરોડની રકમ વસૂલાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ કૌભાંડ મામલે જવાબદાર 11 કોન્ટ્રાકટરો પાસેથી રૂ.9.04 કરોડની રકમ વસૂલાઇ છે તેમજ જી.પી. ચૌધરી, જે.આર. અગ્રવાલ અને આકાશ ઇન્ફ્રાસ્ટ્રકટર, નામના ત્રણ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરી તેમની સામે એફઆઇઆર કરાઇ છે.
જોકે તે સમયગાળામાં આઇઓસીના બોગસ બિલ, ગુરુકુળ વિસ્તારમાં કાગળ પણ દોડાવાતી હોટમિકસની ગાડીનું કૌભાંડ, ડામરના ભાવવધારા સાથેના બિલની ચૂકવણીના કૌભાંડથી તંત્ર તેમજ તંત્ર તેમજ શાસક ભાજપની આબરૂના પ્રજામાં લીરેલીરા ઊડી ગયા હતા અને વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં રોડ કૌભાંડથી 'વિકાસ ગાંડો થયો છે' તેવું સૂત્ર વહેતું થતાં શાસકોને ચૂંટણીના વર્ષમાં પ્રજાનો રોષ સહેવો પડ્યો હતો.