આજ રોજ રાજ્યમાં ખેરાલુ-અંબાજી હાઇવે અને રાજકોટ-મોરબી હાઈવે એમ બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત અને 12 ઘાયલ.
રાજ્યમાં એકસાથે 2 અકસ્માતમાં 1નું મોત અને 12 ઘાયલ
ખેરાલુ-અંબાજી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત
મોરબી રોડ પર રતનપર નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત
ખેરાલુ-અંબાજી હાઇવે પરના કાદરપુર પાટીયા નજીક ગંભીર અક્સ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઓવરલોડિંગ કપચી ભરેલી ટ્રકે કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાતા છ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જયારે કારમાં દટાઈ ગયેલા ઘાયલોને એક કલાકની મહેનત બાદ કારનો દરવાજા કાપીને બહાર નીકાળાયા હતા. મળતી માહિતી મુજબ, તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનનાર પરિવાર બાલાસિનોરનો રહેવાસી છે. તેઓ જ્યારે અંબાજી જતા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
મોરબી રોડ પર રતનપર નજીક ત્રિપલ અકસ્માત
એ સિવાય મોરબી રોડ પર આવેલા રતનપર પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રીક્ષાને મોટું નુકસાન થયું હતું તેમજ રાજકોટના મુસ્લિમ પરિવારના છ લોકો ઘવાયા હતા. તેઓને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનો કચ્ચરધાણ નીકળી ગયો. જ્યારે અન્ય 2 કારને પણ ઘણુ નુકસાન પહોંચ્યું હતું. હાલ 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, રાજકોટ-મોરબી હાઇવે પર જાણે કે યમરાજા ડેરા તંબુ બાંધીને બેઠા હોય તેમ અહીં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આજથી 10 મહિના પૂર્વે પણ કચ્છના યાત્રિકો દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ જ રીતનો એક અકસ્માત સર્જાયો હતો.