અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં દુઃખદ ઘટના બની હતી. કોરોનાની સારવાર માટે આવેલા 8 દર્દીઓના હોસ્પિટલમાં આગ લાગતા મોત થયા હતા. એવું સામે આવ્યું છે કે, આ શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને કોઇ જ પ્રકારની કાળજી લેવામાં આવી ન હતી. ત્યારે હવે મોડી તો મોડી સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટના આદેશ આપ્યા છે.
ગુજરાતની તમામ હોસ્પિટલોમાં થશે ચેકિંગ
CM રૂપાણી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ
શ્રેય હોસ્પિટલમાં ભયંકર આગની ઘટના બની હતી
શહેરી વિકાસ વિભાગને CM રૂપાણીએ તાત્કાલિક ધોરણે તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેમાં ગુજરાતની તમામ હોસ્પિટલો, કોમર્શિયલ કોમ્પલેક્ષ અને મકાનમાં ફાયર સેફ્ટીની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યાં પણ અપુરતી વ્યવસ્થા હોય તો કાર્યવાહી થશે.
આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગઇકાલે અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં જે બનાવ બન્યો તે દુઃખદ છે. આ હચમચાવી મુકનાર અતિ દુઃખદ ઘટના બની છે. ભગવાન મૃતકોના આત્મા શાંતિ અર્પે. અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન એમના પરિવારજનોને શક્તિ આપે.
વધુમાં સીએમએ કહ્યું હતું કે, મેં ગઇકાલે સવારે આદેશ કર્યો હતો કે, આખી ઘટનાની તપાસ કરવામાં આવે. સિનિયર બે અધિકારીને તપાસ સોંપી છે. 3 દિવસમાં આખો રિપોર્ટે પ્રાપ્ત થશે. જેની બેદરકારી હશે તેમના વિરૂ્દ્ધ ગનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
સીએમએ કહ્યું હતું કે, SVPમાં ખસેડીને સારવારમાં કોઇ રૂકાવટ ન આવે તેની સૂચના આપી હતી. મ્યુનિ.માં જેટલી પણ હોસ્પિટલો છે તેનું નિયમો અને ચુસ્તતાથી ચેકિંગ કરવામાં આવે. જ્યાં ક્યાંય પણ ખામી હોય તો સુધારો કરે. ન કરે તો તાત્કાલિક પગલા લેવામાં આવે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવે. બરોબર ચેકિંગ કરવાની અને પગલા લેવાની સૂચનાઓ આપવામાં આવી છે.