અભદ્ર ટિપ્પણી કરવા બદલ દાનીશ કુરેશી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
સાયબર ક્રાઇમ બ્રાન્ચે દાનીશ કુરેશીની કરી ધરપકડ
આઈ ટી એક્ટ,આઈપીસી 153એ,295એ,મુજબ નોંધાયો ગુનો
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા મુદ્દે AIMIM નેતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ વિવાદાસ્પદ પોસ્ટ કરવી દાનિશ કુરેશીને મોંઘું પડ્યું છે. આ અંગે તેમણે ફેસબુકના માધ્યમથી પોસ્ટ શેર કરતા મામલો ગરમાયો હતો અને વિરોધનો સૂર ઉઠ્યો હતો. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા દાનીશ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે દાનીશ કુરેશીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈ ટી એક્ટ, આઈપીસી 153એ, 295એ, મુજબ ગુનો નોંધી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.
દાનિશ કુરેશીએ શિવલિંગ મુદે કરી હતી વિવાદાસ્પદ પોસ્ટ
વારાણસી કોર્ટના આદેશને પગલે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. 14 થી 16 મે સુધી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે અમુક પક્ષે આ દાવાને નકારવામાં પણ આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આ જગ્યાને શીલ મારવાના આદેશ કર્યા હતા. તેવામાં AIMIM નેતા દાનિશ કુરેશીએ મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે સવાલ પુછતી પોસ્ટ સોશિયલ મીડિયમાં ફેસબુકના મધ્યમથી શેર કરી હતી. આ વિવાદસ્પદ પોસ્ટને પગેલ હિંદુ સંત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને દાનિશ કુરેશીની નિંદા પણ કરવામાં આવી હતી.
દાનિશ કુરેશીની પોલીસે કરી ધરપકડ
અભદ્ર ટિપ્પણી મામલે ઉગ્ર રોષ વ્યક્ત કરાયા બાદ વાતની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓને રજૂઆત કરવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી અને દાનીશ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફરિયાદને પગલે શિવલિંગ પર અભદ્ર ટિપ્પણી કરનારા ગુજરાતના AIMIM નેતા દાનિશ કુરેશીની પોલીસે ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે.