થલતેજ વિસ્તારમાં આવેલ મહાકાળી મંદિરની જમીન છોડી દેવા બાબતે એક મહિલા અને બે વ્યક્તિઓએ મોડી રાતે મંદિરમાં જઈને પૂજારીને ખોટા બળાત્કાર અને મર્ડરના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ગડદાપાટુનો માર મારતાં ચકચાર મચી ગઈ છે. બે વ્યક્તિએ મંદિરના પૂજારીને ત્રીસ લાખ રૂપિયા આપીને મંદિર છોડી જતાં રહેવા કહેતાં તેમના વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મંદિરની જગ્યાના હક-દાવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કેસ
મહિલાએ પણ મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિને બિભત્સ ગાળો બોલી
તમને કેટલી વાર કહ્યું છે કે તમે આ જગ્યા છોડીને જતા રહોઃ મહેશભાઈ ભરવાડ
થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની સામે આવેલ શ્રી મહાકાળી મંદિરના પૂજારી મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિએ સોલા પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિ અને એક મહિલા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિ છેલ્લાં વીસ વર્ષથી મહાકાળી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મંદિરમાં સેવા-પૂજા કરે છે અને જગ્યા પર મંદિર પણ છે ત્યારે છેલ્લાં ચાર વર્ષથી મંદિરની જગ્યાના કબજા બાબતે મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિ અને મંદિરમાં સેવા-પૂજા કરતા અન્ય માણસો સાથે મહેશભાઈ રઘુભાઇ ભરવાડ તથા તેમના મળતિયાઓને અવારનવાર બોલાચાલી થાય છે અને ઘણી વાર ઝઘડા પણ થયા છે. આ બાબતે ઘણી વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. મંદિરની જગ્યાના હક-દાવા માટે ગુજરાત હાઇકોર્ટ અને મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં કેસ ચાલે છે.
ગઈ કાલે મોડી રાતે મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિ, મંદિરના અન્ય પૂજારી અને કર્મચારી સૂતા હતા તે સમયે રાતના બે વાગ્યાની આસપાસ મહેશભાઈ ભરવાડ, તેમની સાથે સામંતભાઈ ઓડેદરા અને એક અજાણી મહિલા તેમની પાસે આવ્યાં હતાં અને સામંતભાઈએ મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિને કહ્યું કે તમને કેટલી વાર કહ્યું છે કે તમે આ જગ્યા છોડીને જતા રહો, નહીં તો આ બહેન છે તેમના પર બળાત્કારનો ખોટો કેસ કરીને તમને ભરાવી દઈશું અને તમે અહીંયાંથી જવાના ત્રીસ લાખ રૂપિયા લઇ લો અને જતા રહો. ત્યારબાદ મહેશભાઈ ભરવાડે તેમને બાબુભાઈ પટેલ ઉર્ફે બલરામ મહારાજના ખોટા મર્ડર કેસમાં ભરાવી દઇશ એવી ધમકી આપી હતી તેમજ એમ પણ કહ્યું કે તમારા મંદિરમાં જ કોઈ પૂજારી રાખીને તેમનાં પત્નીના ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દઇશ. તેમણે આમ કહીને મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિ સાથે ઝપાઝપી કરીને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો.
તે દરમિયાન મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિના ગળામાં રહેલી રુદ્રાક્ષની માળા પડી ગઈ હતી, જોકે ત્યારબાદ અજાણી મહિલાએ પણ મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિને બિભત્સ ગાળો બોલીને ઝપાઝપી કરતાં મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિનો મંદિરમાં રહેતો કૂતરો વધુ ભસવા લાગતાં ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. તે બાદ મહામંડલેશ્વર રાજેન્દ્રગિરિએ સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.