ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે હવે આજે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઇને નિર્ણય લેવાઇ શકે છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
31 માર્ચ સુધી લંબાઈ શકે છે રાત્રી કર્ફ્યુ
આજે પૂર્ણ થાય છે રાત્રી કર્ફ્યુની મુદત
ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લગાવવામાં આવેલા રાત્રી કર્ફ્યુની આજે 15 માર્ચે અવધી પૂર્ણ થશે. ત્યારે વધતા સંક્રમણના કારણે રાત્રી કર્ફ્યુ 31 માર્ચ સુધી લંબાવાઈ શકે છે. હાલ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લદાયેલો છે. ત્યારે હવે કોરોનાના વધતા સંક્રમણના પગલે રાત્રી કર્ફ્યુની સમયમર્યાદા લંબાવાઇ શકે છે.
આજે રાત્રી કર્ફ્યુ રાખવો કે સમયમાં ફેરફાર કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. આ મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે હાઇલેવલની કમિટીની બેઠક યોજાઇ શકે છે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે સૌ કોઇને નજર સરકારના આગામી નિર્ણય પર છે.
ચૂંટણી બાદ કોરોનાના કેસ વધ્યા
મહત્વનું છે કે, દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી પણ કોરોનાના કેસ વધ્યા છે. તો બીજી તરફ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ પણ પડી મોંઘી શકે છે. મેચ જોવા 50 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ગઇકાલે એક દિવસમાં રાજ્યમાં 810 કેસ નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 810 નવા દર્દી જ્યારે 586 દર્દીઓ સાજા થયાં છે. અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4422 એક્ટિવ કેસ છે. તો હાલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.82 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4422 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 217 કેસ અને ગ્રામ્યમાં 24 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 163 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 95 કેસ, જ્યારે ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 61 કેસ અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે.