બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ખાડામાં છુપાઈ ગયા અને બચી ગયા, અમદાવાદના પરિવારે જણાવી પહેલગામ હુમલાની આપવીતી
Last Updated: 06:08 AM, 28 April 2025
22 એપ્રિલ, 2025 આખો દેશ તે દિવસે ધ્રુજી ઉઠ્યો હતો, કારણ કે જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પેહલગામમાં ભીડભાડભર્યા સ્થળે આતંકીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં 3 ગુજરાતીઓ સહિત કુલ 26 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. દેશભરમાં રોષનો માહોલ છે. વડાપ્રધાન દ્વારા પણ આ ઘટનાને લઇને તીખો પ્રતિકાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આતંકીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. પરંતુ જ્યારે આવો ગંભીર અને ધ્રુજાવી નાખે એવો હુમલો થાય છે ત્યારે એ સ્થળે હાજર લોકો શું અનુભવે છે તે માત્ર તેમને જ ખબર હોય છે. આખા દેશમાંથી લોકો પેહલગામનું સૌંદર્ય માણવા આવે છે. જેને મીની સ્વિટઝરલેન્ડ કહેવાય છે તેવી કાશ્મીરની વાદીઓમાં ખુલ્લી હવામાં થોડી શાંતિ, આનંદ અને રાહતનો શ્વાસ લેવા આવે છે. પરંતુ જાણે કે કુદરતને કૈંક અલગ જ મંજૂર હોય એમ 22 એપ્રિલે આ શાંતિને કોઇની નજર લાગી ગઇ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અંતકાળ જેવી આ ક્ષણનો અનુભવ કર્યો હતો અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા રુષી અરુણભાઈ ભટ્ટના પરિવારે. તેઓ 15 એપ્રિલે પોતાના પરિવાર -પત્ની અને 11 વર્ષના દીકરા સાથે ફરવા માટે જમ્મુ-કાશ્મીર ગયા હતા. 22 એપ્રિલે, રજાઓનો આનંદ માણવા તેઓ પેહલગામ પહોંચ્યા હતા અને ત્યારે જ આ હુમલો થયો. હુમલાના અડધો કલાક પહેલાની વાત કરતા રુષીભાઇ જણાવે છે કે " પહેલા બધું સામાન્ય લાગતું હતું. લોકો ફોટા પાડી રહ્યા હતા, મસ્તી કરી રહ્યા હતા. અમે પણ એક સામાન્ય પરિવારની જેમ ખુશીથી ફરતા હતા. પેહલગામમાં એક ઝિપ લાઇન છે, જેમાં લોકો ઉપરથી નીચે જઈ શકે છે ફોટા લેવા માટે. ત્યાં લોકો પોતાના પરિવાર સાથે મજા માણી રહ્યા હતા અને અચાનક એક અવાજ આવ્યો.."
"તે સમયે મારું ધ્યાન મારી પત્નિ અને બાળકના બચાવવામાં જ હતું" રુષીભાઈની પત્ની અને દીકરો ઝિપ લાઇનથી પહેલા જ નીચે આવી ગયા હતા અને તે પાછળથી આવી રહ્યા હતા. રુષીભાઈએ કહ્યું, “જ્યારે હું નીચે પહોંચ્યો ત્યારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો. હું તરત મારી પત્ની અને દીકરો તરત એક ખાડામાં છુપાઈ ગયા હતા. બધું ખુબ ભયાનક હતું.” તેઓએ કહ્યું કે આંતકીઓ લગભગ 30 ફૂટની અંતર સુધી હતા અને તેઓ દરેક પર્યટકનો ધર્મ પુછીને, જો હિન્દુ હોય તો તરત ગોળી મારી દેતા હતા. એ ખાડામાં બેઠા રુષીભાઈ અને તેમનો પરિવાર ફક્ત ભગવાનને યાદ કરતા રહ્યા અને અંદરથી પ્રાર્થનાઓ કરતાં રહ્યા કે કોઈ રીતે તેમનો જીવ બચી જાય. “મારું ધ્યાન બસ એટલું જ હતું કે કઇ પણ કરીને મારી પત્ની અને દીકરો બચી જાય.”
પહેલું ફાયરિંગ થયું , ત્યારપછી થોડો સમય શાંતિ છવાઈ. રુષીભાઈએ આ પળનો લાભ લઇને ધીમે ધીમે પરિવારને લઇને નીચે જવાનું શરૂ કર્યું. અને સદભાગ્યે, તેમને ત્યાં ભારતીય સેનાના જવાનો મળી ગયા હતા. રુષીભાઈ વધુમાં જણાવે છે કે “સેનાની ટીમ ઘટના પછી માત્ર 15-20 મિનિટમાં પહોંચી ગઈ હતી. તેઓએ અમારું રેસ્ક્યૂ કર્યું અને અમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા,” પછી તરત જ તેમને અમદાવાદ લાવવામાં આવ્યા.
ભલે જીવન બચી ગયું, પણ એ ઘડીઓના માનસિક ઘા હજુ સુધી છવાયેલા છે. રુષીભાઈ જણાવે છે કે તેમનો દીકરો હજુ સુધી આ ઘટનાથી બહાર આવી શક્યો નથી. “હજી પણ ક્યારેક ડરી જાય છે. રાતે ઉંઘ માંથી ઊઠી જાય છે. અમારું આખું પરિવાર હજી પણ એ ઘટનાઓથી અજાગૃત રહી શકતો નથી.” આ ફક્ત એક પરિવારની વાત છે. આ ઘટના સમયે ત્યાં લગભગ 30 જેટલા બીજા પરિવારો હતા જેમણે પોતાના જીવ બચાવવા માટે પથ્થરોનો સહારો લીધો હતો. અમે આંખો સામે ગોળીબાર થતાં જોયો હતી અને લોકોને તેમના પરિવારને ખોળામાં લઈને પોતાનો જીવ બચાવવો પડ્યો.
હુમલામાં અનેક એવા પરિવારો હતા જેમણે આ જ રીતે પોતાનો જીવ બચાવ્યો હતો. સાથે જ, આપણે કલ્પના પણ કરી શકીએ નહીં એ પરિવારોનું દુઃખ, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હકીકત એ છે કે રુષીભાઈ અને તેમનો પરિવાર તો બચી ગયા, પરંતુ જે 26 લોકોનાં જીવન ત્યાં અંત પામ્યાં, તેમના માટે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.