મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્વેતા જાડેજાના ૩૫ લાખ રૂપિયાના તોડકાંડ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.રાઠોડનો ૪૦ લાખ રૂપિયાનો તોડકાંડ સામે આવતાં વધુ એક વખત પોલીસની છાપ ખરડાઇ છે. બળાત્કારના આરોપી એવા બિલ્ડર સુનીલ ભંડેરી પાસેથી ૪૦ લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ થતાં એસીપીએ પીઆઇ વિરુદ્ધમાં તપાસ શરૂ કરી છે. જો કે બિલ્ડરની ધરપકડ થતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
કૃષ્ણનગરની પીઆઇ જે. કે રાઠોડ પર તોડનો ગંભીર આરોપ
બળાત્કાર કેસમાં 40 લાખ લીધા હોવાનો ગંભીર આરોપ
કૃષ્ણનગરના બિલ્ડરે પોલીસ કમિશનરને કરી અરજી
ત્યારે ચોંકાવનારી વાત એ છે કે સુનીલ ભંડેરીની ધરપકડ બાદ તે સિવિલ હોસ્પિટલથી ભેદી રીતે નાસી જતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. નશાવાળી ચોકલેટ ખવડાવ્યા બાદ બિલ્ડર સુનીલ ભંડેરીએ મિત્રની પત્ની પર બળાત્કાર ગુજારીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
સુનિલ અવારનવાર મિત્રને બોલાવતો
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા વર્ષ ૨૦૧૭માં તેના પતિ સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. જ્યાં પતિનાે મિત્ર બિલ્ડર સુનીલ ભંડેરી મળ્યાે હતો. લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનીલે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે તે મારી પત્ની માટે લેવાની છે. સુનીલ અવારનવાર મિત્રને મળવાને બહાને મહિલાના ઘરે આવતો હતો.
ચોકલેટ ખવડાવી મહિલા પર કર્યું દુષ્કર્મ
જૂન ૨૦૧૭માં સુનીલ ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મહિલાને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ મહિલા બેભાન થઇ જતાં, સુનીલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ત્યાર બાદ પણ આરોપી સુનીલ અવારનવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો.
મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એ પણ આક્ષેપ કર્યો છે કે, આરોપી બિલ્ડર સુનીલ ભંડેરી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો.
મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતાં કરાઇ ધરપકડ
સુનીલની હરકતો ઘણા સમયથી ચાલુ જ હતી, આ દરમિયાન વર્ષ ૨૦૧૯માં ૧૧ ઓકટોબરના રોજ સુનીલ અને મહિલા ઘરે એકલાં હતાં. આ સમયે ઝઘડો થતાં મહિલાએ સ્યુસાઇડ નોટ લખી ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સુનીલ ભંડેરી વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગઇ કાલે તેની ધરપકડ કરી હતી. ધરપકડ થતાં તેનો કોરોના રિપોર્ટ કરાવામાં આવ્યો હતો. જ્યાં તેને પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સુનીલ ભંડેરીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ તે ભેદી રીતે પોલીસના સંકજામાંથી નાસી છુટ્યો છે.
સુનીલ ભંડેરી PI પર રૂપિયા લેવાનો લગાવ્યો આરોપ
ઝોન ૪ના ડીસીપી રાજેશ ગડિયાએ જણાવ્યું છે કે સુનીલ ભંડેરી હોસ્પિટલમાંથી નાસી ગયો છે. જેને પકડવા માટે તપાસ ચાલી રહી છે, ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે.રાઠોડ વિરુદ્ધમાં પણ તપાસ જી ડિવિઝનના એસીપી એ.એમ.દેસાઇને સોંપાઇ છે. સેક્ટર ૨ના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું છે કે આરોપી સુનીલ ભંડેરીએ અરજી કરી હતી કે બળાત્કારના કેસમાં પીઆઇ જે.કે.રાઠોડે ૪૦ લાખ રૂપિયા લીધા છે. સુનીલ ભંડેરીની અરજી પર તપાસ શરૂ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના ક્રમ
નરોડમાં રહેતી મહિલાએ બિલ્ડર સામે દુષ્કર્મની નોંધાવી ફરિયાદ
ચોકલેટ ખવડાવીને દુષ્કર્મ કરી હોવાની મહિલાએ કરી હતી ફરિયાદ
બિલ્ડર ધમકાવતો હોવાનો મહિલાએ ફરિયાદમાં કરાવ્યો હતો ઉલ્લેખ
દુષ્કર્મ મામલે બિલ્ડર સુનિલ સહિત 3 લોકો સામે ફરિયાદ થઈ
PI જે.કે.રાઠોડે બિલ્ડર પાસે 70 લાખની માગી હતી લાંચ
ફરિયાદને બારોબાર પતાવી દેવા મામલે PIએ માગી હતી લાંચ
બિલ્ડરે PI જે.કે.રાઠોડને 40 લાખ રૂપિયા આપ્યા હતા
બિલ્ડરે ફરિયાદ લીધા બાદ 30 લાખ આપવાનો કર્યો હતો વાયદો
40 લાખ રૂપિયા લીધા બાદ પોલીસે બિલ્ડરને શોધવાનું શરૂ કર્યુ
ફરાર થતા પહેલા બિલ્ડરે કમિશનર કચેરીમાં PI સામે કરી અરજી