કૃષિ કાયદા પર ખેડૂતોના વિરોધને લઈને કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. કૃષિ કાયદાના વિરુદ્વમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ સક્રિય થયા છે. સુરતના 10 આગેવાનો દિલ્હી જવા રવાના થયા છે. આ સિવાય કોંગ્રેસ પણ દેખાવો અને ભૂખ હડતાલમાં જોડાશે જ્યારે આપની મહિલાઓ દ્વારા અમદાવાદ ખાતે પ્રતિક ઉપવાસ અને દેખાવો કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ
નરેન્દ્રભાઇ PM બન્યા બાદ ખેડૂતની આવકની વાત કરી: રૂપાલા
ગુજરાતમાંથી પણ સરકારના નવા કૃષિ કાયદાને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે ત્યારે કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી અને કેટલીક વાતો જણાવી હતી. ગુજરાતમાંથી પણ આજે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ કેટલાક ગુજરાતી ખેડૂતો દિલ્હી પણ પહોંચી ગઈ છે. ત્યારે આવો જાણીએ કે
કૃષિમંત્રીએ શું કહ્યુ?
કૃષિ કાયદા પર ખેડૂતોના વિરોધને લઈને કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, કાયદામાં જે જોગવાઈ છે તે ખેડૂતોની ઈચ્છા પડે તો જ લઈ શકે તેવી છે. કંપનીઓ જે ભાવ આપે તે ખેડૂતને યોગ્ય લાગે તો જ તે લઈ શકશે. ખેડૂતોને ઇચ્છા હશે તો જ કોન્ટ્રાક્ટ ફાર્મિગ થઇ શકશે. APMC એક્ટમાં સુધારા બાદ પણ APMC રહેશે જ. લાજ કાઢવાની પ્રથા લગ્નમાં લાગુ ન કરાય. જૂની સિસ્ટમ ચાલુ રાખી નવા વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવી છે. પોતાના પાકનું યોગ્ય વળતર મળે તેવી ખેડૂતોની માગ હતી.
કોંગ્રેસ પર પણ લગાવ્યા આક્ષેપ
કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ વધુ જણાવ્યું હતુ કે,કાયદામાં MSPનો ઉલ્લેખ કેમ નથી એમ કહીને કોંગ્રેસ વિરોધ કરે છે. સ્વામિનાથન કમિટીએ પણ સરકારને કેટલીક રજૂઆતો કરી છે. કોંગ્રેસે સ્વામિનાથન કમિટીના રિપોર્ટ અંગે નિર્ણય ન કર્યો. PM મોદીએ નીતિગત નિર્ણય કરી સ્વામિનાથનની ભલામણો લાગુ કરી છે. ખેતીમાં રહેલા જોખમોને ઓછું કરવાનું કામ કર્યુ છે. દેશના ખેડૂતોને ટેક્નોક્રેટ બનાવવાનું કામ PMએ કર્યુ છે. PM મોદીએ કૃષિનીતિમાં ફેરફારનો નિર્ણય કર્યો છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક છે.
ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ
કૃષિ કાયદાઓની વિરોધમાં ખેડૂતઆંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આજે ખેડૂત આંદોલનનો 19મો દિવસ છે અને આજે ખેડૂતો દ્વારા 9 કલાકના ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતઆંદોલન સાથે જોડાયેલા નેતાઓની ભૂખ હડતાળ કરશે એટલું જ નહીં પરંતુ દિલ્હીના CM કેજરીવાલના પણ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસમાં જોડાયા છે ત્યારે ગુજરાતમાંથી પણ વિરોધના સૂર વધુ ઘેરા બની રહ્યા છે.
સિંધુ બોર્ડર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, સોમવારે તમામ ખેડૂત સંગઠનના નેતાઓ 9 કલાકની ભૂખ હડતાળમાં જોડાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોમવારે ખેડૂતોની સાથે ઉપવાસમાં જોડાવાની જાહેરાત કરતાં સમગ્ર દેશને ખેડૂતોના સમર્થનમાં એક દિવસનો ઉપવાસ રાખવા અપીલ કરી હતી.
સવારના 8થી સાંજના 5 સુધી ભૂખ હડતાળમાં જોડાશે
કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ૩ કૃષિ કાયદાના વિરોધમાં આજે 19મો દિવસ છે. આંદોલનને ઉગ્ર બનાવતાં ખેડૂતોએ 14મી ડિસેમ્બરના સોમવારે દેશવ્યાપી ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સોમવારે દરેક જિલ્લા મથક ખાતે કલેક્ટર કચેરીઓ સામે આંદોલન કરશે અને ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે. સિંધુ બોર્ડર ખાતે ખેડૂત નેતા ગુરનામસિંહ ચડુનીએ જણાવ્યું હતું કે, સોમવારે દેશના દરેક જિલ્લાના મુખ્યમથકો ખાતે ખેડૂતો દ્વારા ધરણા કરાશે. તમામ ખેડૂત સંગઠનોને દરેક રાજ્યની રાજધાની અને તમામ જિલ્લા મથકો ખાતે સાથે મળીને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરીએ છીએ. તે ઉપરાંત દિલ્હીની તમામ સરહદ પર આંદોલન કરી રહેલાં ખેડૂત સંગઠનોના નેતાઓ સવારના 8થી સાંજના 5 સુધી ભૂખ હડતાળમાં જોડાશે.
પંજાબની મહિલાઓએ સંભાળી જવાબદારી
પંજાબનાં 12,797 ગામમાં મોટે ભાગે પુરુષો આંદોલનનો હિસ્સો છે. 3500થી વધુ ગામ એવાં છે કે જ્યાં 10% પુરુષો હાજર છે, આથી મહિલાઓ ઘરથી ખેતી સુધી તમામ કામ સંભાળી રહી છે. તે રોજ ખેતરે જાય છે, પાકને પાણી આપે છે, ખાતર નાખે છે અને પશુઓના ઘાસચારાની પણ વ્યવસ્થા કરે છે. અનેક ગામોમાં પુરુષની ગેરહાજરીમાં મહિલાઓ માત્ર ખેતી સંભાળે છે એવું નથી, પણ રસ્તા પર, ટોલ પ્લાઝા પર ધરણાંનો કાર્યક્રમ પણ યોજે છે.