ગામડું બોલે છે એવા કાર્યક્રમથી આપણે પરીચીત છીએ.પરંતુ ગુજરાતના દરેક ગામડા બોલતા નથી ઘણા રડે પણ છે. રાજ્યનું આવુ જ એક ગામ છે ભટેરાપુરા ત્યાંના રહેવાશી કહે છે અમારુ ગામ ગુજરાતનું સૌથી ગરીબ ગામ છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે 40થી45 ઠાકોર પરિવાર બાસ્પાના ભટેરાપુરા ગામે આવીને વસ્યા.
એક સમયે આ ગામનો સમાવેશ ગુજરાતના નકશામાં પણ નહોતો
શરૃઆતના સમયે આ ગામનો સમાવેશ રાજ્યના નકશામાં પણ નહોતો. પરંતુ સમય જતા તેને સમી પાટણના બાસ્પા પંચાયત સાથે ભેળવવામાં આવ્યુ. વર્ષો સુધી બાસ્પા સાથે જોડાયેલા આ ગામમાં સુવિધાના નામે કશુ જ નથી. રહેવા માટે જાતે બનાવેલી કાચી ઝુપડીઓ છે જે દરેક ચોમાસામાં ધોવાઇ જાય છે. બે-ચાર ઘરને ઇંટોનું ચણતર કરી છાપરા લગાવવામાં આવ્યા છે પરંતુ ચોમાસામાં આ ઘર પણ સલામત નથી.
પાણીની પાઇપલાઇન છે પરંતુ પાણી ક્યારેય આવ્યું જ નથી
પાણીની પાઇપ લાઇન આવી પણ તેમાં ક્યારેય પાણી નથી આવ્યુ. છોકરાઓ બાજુના ગામમાં અભ્યાસ કરવા માટે જાય છે. પરંતુ દિકરીઓને સલામતીના ડરે અન્ય ગામમાં અભ્યાસ માટે મોકલવામાં નથી આવતી. જેના કારણે દીકરી પઢાવો જેવા સ્લોગનની આ ગામમાં કોઇને જાણ જ નથી. છોકરાઓ પણ ચોમાસાના ચાર મહિના ઘરે જ ભણે છે. કારણ કે ભટેરાપુરા ગામમાં રસ્તો જ નથી. સામાન્ય દિવસમાં જે રસ્તાનો ઉપયોગ ગ્રામજનો કરે છે તે ચોમાસામાં ધોવાઇ જાય છે.
વર્ષોથી કરી રહ્યા છીએ રજૂઆત પરંતુ ઉકેલ શૂન્ય
ગામજનોનું કહેવુ છે કે ચોમાસામાં તો ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની જાય છે. ભટેરાપુરા ગામને બાસ્પામાંથી મહમદપુરા ગામમાં ભેળવવામાં આવ્યુ છે. ત્યાં વર્ષોથી રજૂઆત કરવામાં આવે છે પણ ગામની કોઇ સમસ્યા દૂર નથી થતી. સૌથી મોટી સમસ્યા રસ્તાની છે. ગામના રહેવાશી ઘર્મુભાઇ નિરાશી કહે છે કે, અમારા વડીલો ભાગલા સમયે અહીં ના આવ્યા હોત તો સારુ તેવા વિચારો હવે અમને આવે છે. રસ્તા વીના અનેક સમસ્યા સામે ગામના લોકો જજૂમી રહ્યા છે.
અધિકારીઓને આ ગામની જાણ જ નથી
અધિકારીઓને તો આવુ કોઇ ગામ છે તેની પણ જાણ નથી. પાણી નથી, ગામના દિકરાઓને કોઇ પોતાની દિકરી આપવા તૈયાર નથી, ગામની યુવતિઓ અભ્યાસ નથી કરી શકતી, સર્ગભા મહિલા હંમેશા ડરમાં રહે છે. અને ચોમાસુ ગ્રામજનો માટે કુદરતનો કેર છે. ગામની મુલાકાત લેતા એટલી તો જાણકારી મળી કે ગુજરાતના દરેક ગામડા સમુદ્ધ નથી.આવા ગામડાઓને હવે સુવિધાપુર્ણ કરવા જરૃરી છે.