ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ મોટો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં આગામી 15 જૂનથી રાજ્યમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે.
વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીનું મોટું એલાન
ગુજરાતમાં 15 જૂનથી AAP વીજળી આંદોલન શરૂ કરશે
ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટી જાહેરાત કરી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ રાજકીય પાર્ટી પોતપોતાની રીતે સક્રિય થઇ ગઇ છે. ત્યારે હવે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ આંદોલનને લઇને મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં વીજળીને લઈને આમ આદમી પાર્ટી આંદોલન કરશે. આ અંગે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, 'ગુજરાતમાં 15 જૂનથી વીજળી આંદોલન શરૂ કરાશે. ગુજરાતમાં મોંઘી વીજળીને લઇને આંદોલન શરૂ કરાશે.'
ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ: ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, 'વીજળી મેળવવી એ જનતાનો અધિકાર છે. પરંતુ અમે ગુજરાતમાં જોઇ રહ્યાં છીએ કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, સરકાર સતત લોકોને લૂંટતી આવી રહી છે. જેટલી વાર પણ લોકોએ ભાજપને વોટ આપ્યો તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. પછી ભલે તે શિક્ષણની વાત હોય કે પછી સ્વાસ્થ્યની વાત હોય કે પછી પેટ્રોલ-ડીઝલની વાત હોય કે પછી વીજળીની વાત હોય. BJP જેટલી પણ વખત જનતાનો વોટ મેળવે છે તેટલી વાર ભાજપ મોંઘવારી વધારે છે. આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે કારણ કે ગુજરાતમાં વીજકંપનીઓની સાથે ભાજપના નેતાઓની સાંઠગાંઠ છે.'
16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે: ગોપાલ ઇટાલિયા
વધુમાં જણાવ્યું કે, 'વીજકંપનીઓ પાસેથી ભાજપ ચૂંટણી લડવાના પૈસા લે છે. એટલાં જ માટે તમામ વીજકંપનીઓ મનમાની કરે છે, સતત વીજળીના ભાવમાં વઘારો કરતા જઇ રહ્યાં છે અને લોકોને પીસતા જઇ રહ્યાં છે. એટલાં માટે AAPએ એક મોટું આદોલન કરવાની યોજના બનાવી છે. એટલાં માટે આવનારી 15 તારીખથી તમામ ડિસ્ટ્રિક્ટ પ્લેસ પર ડિસ્ટ્રિક્ટના જે નેતા હશે તેઓ મીડિયા બ્રિફિંગ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું કામ કરશે. આ સાથે 16થી 24 તારીખ સુધી રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવાશે. જેમાં અમે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડીશું. જેમાં રેલી થશે, પદયાત્રા થશે, મસાલ યાત્રા થશે.'