ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ રાજ્યના 4 મહાનગરોમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુંમાં આંશિક છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
4 મહાનગરોમાં રાત્રી કફર્યૂની મુદત આજે થશે પૂર્ણ
રાત્રી કફર્યૂ લંબાવવામાં આવે તેવી શકયતા
રાત્રી કફર્યૂ બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે
ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુંને લઇને જાહેરાત કરી હતી.
સૌ પ્રથમ રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાથી સવારે 6 જાહેર કરાયો હતો. ત્યાર બાદ તેમાં આંશિક રાહત આપતા રાત્રિ 10થી 6 વાગ્યા સુધી 14 જાન્યુઆરી સુધી જાહેર કરાયો હતો. ત્યારે આજરોજ 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું મુદ્દત પુર્ણ થઇ રહી છે ત્યારે ફરી સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે.
જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રી કર્ફ્યું લંબાવામાં આવે તેવી પુરેપુરી સંભાવનાઓ છે. રાત્રી કર્ફ્યું બાદ જ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સરકાર રાત્રી કર્ફ્યુમાં આંશિક રાહત આપી શકે છે.
રાજ્યમાં હાલ જે 10 વાગ્યાથી કર્ફ્યું છે તેમાં 11 વાગ્યા સુધીની છૂટછાટ સરકાર દ્વારા મળી શકે છે. આ સાથે લગ્ન પ્રસંગોમાં 200 મેહમાનોની મંજૂરી મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સરકાર દ્વારા કેટલીક છૂટ આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતાવાળી હાઇલેવલ કમિટિમાં નિર્ણય લેવાશે.