એક તરફ કેન્દ્ર સરકાર સમગ્ર ભારતમાં આયુષ્યમાન ભારત કાર્યક્રમનો અમલ કરાવવા કટિબદ્ધ છે. તો બીજી તરફ વડાપ્રધાન ગૃહ રાજ્ય એવા આપણા ગુજરાતમાં અનેક હોસ્પિટલો માં કાર્ડના નિયમોનો ભંગ કરીને દર્દીઓને લૂંટી રહી છે. આ વાત વિધાનસભાની દિવાલો વચ્ચે ગૂંજી તો સરકાર બચાવની મુદ્રામાં આવી ગઈ. તો રાજ્યની કઈ કઈ હોસ્પિટલો માં કાર્ડનો કાયદો નેવે મૂકીને દર્દીઓની ભાંગી રહી છે કેડ.
સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતના નેમ સાથે આગળ વધી રહેલી સરકારને ગૃહ રાજ્યમાંથી આંચકો મળ્યો છે. કેમ કે, કેન્દ્ર સરકાર આજે સમગ્ર દેશમાં ગરીબોની ચિંતા કરીને આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારવા બીજા રાજ્યોને સમજાવી રહી છે. પરંતુ વડાપ્રધાનના ગૃહરાજ્યમાં જ અનેક હોસ્પિટલો મફત સારવારના કાયદાનો ભંગ કરી રહી છે. આયુષ્યમાન ભારતની યોજનાનો દર્દીઓને લાભ આપવાની વાત તો દૂર રહી પરંતુ આજથી પાંચ વર્ષ પહેલા રાજ્યમાં આનંદીબેન પટેલના મુખ્યમંત્રી કાળ વખતે અમલમાં મૂકાયેલી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો અમલ કરવામાં પણ હોસ્પિટલો છેતરપિંડી કરી રહી છે. જેના કારણે અનેક ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને કાંતો પૈસા ખર્ચવા પડી રહ્યા છે અથવા તો હોસ્પિટલ તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. આ મુદ્દો વિધાનસભામાં કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ઊઠાવ્યો તો સરકાર બચાવ મુદ્રામાં આવી ગઈ.
શું છે માં વાત્સલ્ય યોજના?
આજથી પાંચ વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે માં કાર્ડ હેઠળની કેટલીક હોસ્પિટલોમાં સારવાર ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ આ યોજનાનો અસરકારક અમલ થયો નથી અને દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. માં વાત્સલ્ય યોજના અંગે જો વાત કરવામાં આવે તો મે-2014થી માં વાત્સલ્ય યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ યોજના શરૂ કરી હતી. સરકારી અને ગ્રાન્ટેડ હોસ્પિટલ પણ યોજના હેઠળ આવે છે. વાર્ષિક 1.20 લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબને મફત સારવાર આપવાની હોય છે. મધ્યમ વર્ગની મહિલાઓ અને બાળકોને પણ નિશુલ્ક સારવાર આપવાની હોય છે. એક કુટુંબમાં 5 વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. કુટુંબને 3 લાખ સુધીની સારવાર હોસ્પિટલે નાણાં લીધા વિના કરવાની હોય છે. સરકારે યોજના માટે ખાનગી હોસ્પિટલ્સને કરારબદ્ધ કરેલી છે.
ખાનગી હોસ્પિટલો માં વાત્સલ્ય યોજના હેઠળ સમાવી લીધી હોવા છતાં અનેક હોસ્પિટલો માં કાર્ડ ધારકો પાસેથી સારવાર બદલ નાણાં વસૂલી રહી છે. અમદાવાદની 17 નામચીન હોસ્પિટલો કે જે માં કાર્ડ ધારકો પાસેથી પૈસા વસૂલી રહી છે.
કોણ વસૂલે છે પૈસા?
ક્રિષ્ના શેલ્બી - અમદાવાદ
બોડીલાઈન હોસ્પિટલ - અમદાવાદ
પારેખ હોસ્પિટલ - અમદાવાદ
સેવીયર હોસ્પિટલ - અમદાવાદ
વી.એસ.હોસ્પિટલ - અમદાવાદ
સ્ટાર હોસ્પિટલ - અમદાવાદ
નારાયણ રુગ્ણાલય - અમદાવાદ
આનંદ સર્જીકલ હોસ્પિટલ - અમદાવાદ
HCG હોસ્પિટલ - અમદાવાદ
લાઈફકેર ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ - અમદાવાદ
શિવાલીક હોસ્પિટલ - અમદાવાદ
સ્ટર્લિંગ હોસ્પિટલ - અમદાવાદ
સાલ હોસ્પિટલ - અમદાવાદ
સંજીવની હોસ્પિટલ - અમદાવાદ
વિધાનસભામાં હોસ્પિટલો દ્વારા ઊઘાડી લૂંટનો મુદ્દો ઉઠ્યો તો સરકારે આવી હોસ્પિટલનો નોટિસો આપવાનું કહી મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ શું નોટિસો આપવાથી કામ પૂરું થઈ જશે?
આજે વિધાનસભા સત્રમાં આ તો ખાલી અમદાવાદની હોસ્પિટલો છે પણ જો આખા ગુજરાતની વાત કરીએ તો હજુ પણ આવી કેટલીય હોસ્પિટલો છે જે સરકારના નિયમોનું પાલન નથી કરતી અને મનફાવે તેમ લૂંટ પણ કરતી હોય છે ત્યારે એક સવાલ એમ પણ થાય છે કે સરકાર આવી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી ક્યારે કરશે ? અને ક્યારે મળશે ગરીબ દર્દીઓને નિશુલ્ક સારવારનો લાભ.
હોસ્પિટલના સંચાલકોની પ્રતિક્રિયા
રાજ્યભરમાં ગરીબોને મફતમાં સારવાર મળી રહે તે માટે સરકારે માં કાર્ડની સુવિધા શરૂ કરી છે. અમદાવાદની અનેક હોસ્પિટલ માં કાર્ડ હોવા છતાં રૂપિયા વસુલે છે. આ ઘટના બાદ સરકારે 6 હોસ્પિટલને બરતરફ કરેલ છે. હોસ્પિટલ પાસેથી નાણા વસૂલ કરીને દર્દીઓને પરત પણ કર્યા છે. તો બીજી તરફ સરકારે 10 હોસ્પિટલને માત્ર નોટિસ જ ફટકારી છે. આ મામલે સંજીવની હોસ્પિટલ એડમિન ઓફિસર ડૉક્ટર રાકેશ પંચાલે જણાવ્યુ હતું કે રિપોર્ટના આધારે અમે નિર્દોષ પૂરવાર થયા હતાં. ત્યાર બાદ અમારો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો આ તરફના સાલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ AGM ઉમા બક્ષીએ જણાવ્યું હતું કે અમે જે સક્ષણ નથી તેમને તો અમે મફતમાં જમાડીએ છીએ. અમારી હોસ્પિટલ રૂપિયા લેતી નથી.