ગુજરાત સરકારે સેનેટાઈઝર ખરીદીના કૌભાંડમાં વિવાદમાં સપડાયેલા ડો દરસી સુમન રતનામ IRSની બદલી કરી છે. તેઓ પાસેથી મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ પદનો એડિશનલ ચાર્જ અત્યારે ડો નવનાથ કોન્ડીબા ગવહાણે IASને આપવામાં આવ્યો છે જેઓ અત્યારે ચીફ પર્સનલ ઓફિસર, હેલ્થ કમિશનર ઓફિસ, ગાંધીનગર તરીકે ફરજ બજાવે છે.
ગુજરાત સરકારે ડો દરસી સુમન રતનામ જેઓ 2005ની બેચના IRS અધિકારી છે તેમને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના પદેથી હટાવીને એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગાંધીનગરના પદે મુકવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તેઓ પહેલેથી જ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એડિશનલ ચાર્જ સંભાળતા હતા.
નોંધનીય છે કે ડો દરસી સુમન ઉપર સેનેટાઈઝર ખરીદીના કૌભાંડમાં આરોપો લાગ્યાં હતાં. FDCAએ દ્વારા ટેસ્ટિંગ દરમિયાન જયારે 48 લાખ રૂપિયાની 32000 સેનેટાઈઝરની બોટલો હલકી ગુણવત્તાની હોવાનું બહાર આવતા ગુજરાત સરકારે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન સામે લાલ આંખ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુમન IRS અધિકારી છે જેઓ ગુજરાત સરકારની પ્રતિનિયુક્તિ ઉપર ગુજરાત વહીવટી તંત્રમાં ફરજ બજાવતા હતા જયારે તેમના પત્ની IAS અધિકારી P ભારતી સર્વ શિક્ષા અભિયાનમાં પૂર્વ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
તેમની જગ્યાએ મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના પદનો ચાર્જે હવે ડો નવનાથ કોન્ડીબા ગવહાણેને આપવામાં આવ્યો છે. ડો નવનાથ 2016ની બેચના IAS અધિકારી છે જેઓ અત્યારે ચીફ પર્સનલ ઓફિસર, હેલ્થ કમિશનર ઓફિસ, ગાંધીનગરના પદે ફરજ બજાવે છે. અત્યારે તેઓ બીજા આદેશ ન આવે ત્યાં સુધી તેમની હાલની પોસ્ટ ઉપર રહેશે અને ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનનો એડિશનલ ચાર્જ સંભાળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા સરકારી હોસ્પિટલો માટે સેનેટાઈઝર સપ્લાય કરતી કંપનીના સેનેટાઈઝરનું પરીક્ષણ ફેલ થયા હતા. જેમાં સૌથી મહત્વની વાત એ હતી કે ખુદ સેનેટાઈઝર બનાવતી કંપનીઓને ખબર જ નથી તે તેમના ફેલ થયેલા સેમ્પલવાળા સેનેટાઈઝર સરકારી હોસ્પિટલોમાં વપરાઈ રહ્યા હતાં.
સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા હતા. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિદ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે કંપનીઓના 13 સેમ્પલ નિષ્ફળ સાબિત થયા હતા.