ગુજરાત યુનિવર્સિટીમાં PhD પ્રોગ્રામમાં અભ્યાસ કરનાર સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીએ સંસ્કૃત ભાષામાં પીએચડી કર્યું છે, માત્ર એટલું જ નહીં હજુ આગળ પણ તે ભવિષ્યમાં સંસ્કૃતની અધ્યાપક બનવા માંગે છે.
સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીએ કર્યું રિસર્ચ
સંસ્કૃત ભાષામાં કર્યું સંશોધન અને હાંસલ કરી પીએચડી
આગળ ભવિષ્યમાં સંસ્કૃતની જ અધ્યાપિકા બનવા માંગે છે સલમા
ગુજરાત યુનિવર્સિટીના એક મુસ્લિમ વિદ્યાર્થીએ સંસ્કૃત ભાષામાં પીએચડી કર્યું છે. સલમા કુરેશી (26) નામની આ વિદ્યાર્થિનીએ ભારતની પ્રાચીન ગુરુ- શિષ્ય પરંપરાના વિષય પર અભ્યાસ કર્યો. તેની થીસીસનું નામ 'પૂર્ણનેશુ નિરૂપિતા શિક્ષા વિધિ એકમ અધ્યાય' છે.
ત્રણ વર્ષમાં કર્યું સંશોધન
સલમા કુરેશી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી, તે 2017 માં ગુજરાત યુનિવર્સિટી ના PhD પ્રોગ્રામમાં સામેલ થઈ અને ડોક્ટરલ સંશોધન માટે ત્રણ વર્ષ નો સમયગાળો લીધો હતો. હવે આગળ તે શિક્ષણ ક્ષેત્રે વધુ કામ કરવા માંગે છે.
વેદ પુરાણ વાંચવા ગમે છે
સલમા કુરેશીએ કહ્યું કે તેમનું સંશોધન શિક્ષકો અને શિષ્યની પરંપરા વિશે છે, જેમ કે વેદો, ઉપનિષદો અને પુરાણોમાં દર્શાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, 'હું શાળામાં હતી ત્યારથી જ સંસ્કૃત ભાષા જાણું છું. મને વેદો અને પુરાણોનો અધ્યયન ગમતું હતું. મારા ઉચ્ચ અભ્યાસ માટે સંસ્કૃત લેવામાં મારા પરિવારને કોઈ વાંધો નથી. '
'ભાષા ધર્મ સાથે સંબંધિત નથી'
સલમાએ કહ્યું કે હિન્દુ ધાર્મિક ગ્રંથો સંસ્કૃત માં હોવાથી, એવું માનવામાં આવે છે કે તે દેવતાઓની ભાષા છે. પરંતુ હું માનું છું કે કોઈ ભાષાને કોઈ પણ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી હોતું. વિદ્યાર્થીઓને જે પણ ભાષા ભણવાની ઇચ્છા હોય તે પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રાચીન સમયમાં ગુરુ -શિષ્યની પરંપરા હતી જ્યારે વિદ્યાર્થીઓને સમાજમાં દરેકને માન આપવાનું શીખવવામાં આવતું હતું. આ તત્વ વર્તમાન સિસ્ટમમાંથી ગુમ થયેલ છે. '
'ભાષા સામાન્ય લોકો સુધી પહોંચી'
સલમા કુરેશીએ કહ્યું, 'હું માનું છું કે સંસ્કૃત ને ફરજિયાત રીતે શીખવવું જોઈએ. ભવિષ્યમાં હું સંસ્કૃતની શિક્ષક બનવા માંગું છું. હું ઈચ્છું છું કે સરકાર પ્રયાસ કરે કે જેથી ભાષા સામાન્ય લોકો સુધી પહોંચે."