ગઈકાલ મોડી રાતથી GST વિભાગે અમદાવાદ-પાલનપુરમાં ટ્રાવેલ્સ કંપનીઓ ઉપર દરોડા પાડી રહી છે ત્યારે આ દરોડોમાં કરોડાના કૌભાંડ સામે આવી શકે છે. ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સ જ કેમ છે GST વિભાગના નિશાને એ વિચાર માંગી લેતી વાત છે.
બેનામી હિસાબો હાથ લાગશે?
ઊંઝા એપીએમસીના વેપારીઓની હોઈ શકે છે સંડોવણી
રાજકિય વગને કારણે GST વિભાગ પહોંચે એ પહેલા જ દસ્તાવેજો થઈ જાય છે ગુમ
રાજ્યમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવાનું ઓપરેશન હાથ ધરાયુ છે જેમાં મોટા ભાગની ટ્રાવેલ્સની ઓફિસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને પાલનપુરમાં ટ્રાવેલ્સ કંપનીઓ દ્વ્રારા બેનામી હિસાબોમાં ગફલત થઈ હોવાનું સંભાવનાઓ સેવાઈ રહી છે.
સર્વિસ સેક્ટરમાં મોટા પાયે દરોડા
ગઈકાલ મોડી રાતથી GST વિભાગની કાર્યવાહી શરૂ થઈ જતા જુદા જુદા સેક્ટરોમાં હલચલ મચી ગઈ છે ત્યારે સર્વિસ સેક્ટરમાં હિસાબી ઘાલમેલને થતી હોવાની શક્યતાઓને પગલે ઘણી નામી ટ્રાવેલ્સ કંપનીની ઓફિસમાં GST વિભાગ ત્રાટક્યુ છે. અમદાવાદ અને પાલનપુરમાં નામી ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા બેનામી વ્યવહાર થતા હોવાની આશંકાના પગલે રેડ પડાઈ છે જેમાં કરોડોના બેનામી નાણાકીય વ્યવહારની વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.
ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટર કેમ છે નિશાને
ઊંઝામાં વરિયાળી અને જીરાને વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો પર તવાઈ બોલાવી છે. SGST વિભાગે ઊંઝામાં મસાલાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો સહિત 37 ઠેકાણે એકસાથે દરોડા પાડીને કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
કરોડોની કરચોરી આવી હતી સામે
30 એપ્રિલ 2019 ના રોજ બાતમીના આધારે GST વિભાગના અધિકારીઓને કાફલો ઊંઝાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો પર ત્રાટક્યો હતો. કરોડો રૂપિયાના જીરૂ કૌભાડમાં અમદાવાદ અને ઊંઝાના મળીને કુલ 17 વેપારીઓ અને 15 ટ્રાન્સપોર્ટરોની સંડોવણી બહાર આવી હતી. આ લોકો ઈ-વે બિલો મારફતે કરચોરી આચરતા હોવાનો ખુલાસો થયો હતો.
જીરાની ટ્રકને અટકાવી પૂછપરછ કરતા મળ્યા હતા તાર
પોલીસે અમદાવાદના વેપારીની જીરૂ ભરેલી ટ્રકને અટકાવી તપાસ કરી હતી. જેમાં બોગસ ઈ-વે બિલ મારફતે માલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે GST વિભાગને જાણ કરતા SGST વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસ આદરી હતી. જેમાં નકલી ઈ-વે બિલ મારફતે પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ટ્રકો મોકલીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
કરોડોના કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે.
આ કૌભાંડ આચરવા માટે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો નકલી ઈ-વે બિલ જનરેટ કરીને માલની ડીલિવરી કરીને ટેક્સની ચોરી કરતા હતા. જેમાં ગુજરાતની બહાર જઈને ઈ-વે બિલને રદ્દ કરવામાં આવતું હતું અને સામે વાળા વેપારીને માલ મોકલીને વેચાણ નથી કર્યું, તેવું દર્શાવવામાં આવતું હતું. આ રીતે એક જ ઈ-વે બિલમાં બેથી ત્રણ ટ્રકમાં માલ મોકલીને ટેક્સની ચોરી કરવામાં આવતી હતી. GSTની વહીવટી ભાષામાં આવી ખરીદી ડિસકવોલીફાઈડ કહેવાય છે અને આમ કરીને કૌભાંડ આચરવામાં આવે છે.
રાજસ્થાનમાં મતદાન હોવાથી ઊંઝા માર્કેટયાર્ડ બંધ
30મી એપ્રિલે રાજસ્થાનમાં મતદાન હોવાને કારણે GST વિભાગે કર્યા હતા દરોડા. ઊંઝા માર્કેટ યાર્ડમાં 6 હજારથી વધુ રાજસ્થાની મજૂરો કામ કરે છે. ગઈકાલે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મતદાન હોવાથી મજૂરો રાજસ્થાનમાં મત આપવા ગયા હતા. જેના કારણે માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતું, આ દરમિયાન SGST વિભાગે હરકતમાં આવીને ઓપરેશન હાથ ધર્યું હતું.
દરોડા પૂર્વે દસ્તાવેજો ગાયબ કરાયા
જો કે દરોડા પૂર્વે GST ટીમ ત્રાટકવાની હોવાની માહિતી કૌભાંડીઓ આગળ લીક થઈ જવાની આશંકા સેવવામાં આવી રહી છે. જેના કારણે GST વિભાગની ટીમ ત્રાટકી તે પૂર્વે જ કેટલાંક દસ્તાવેજો ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડ રૂપિયા 1500 થી 2000 સુધી પહોંચે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.