18 જુલાઈથી રોજની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. સરકારે લોટ, દાળ સહિતની બીજી જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ તથા પ્રી પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લગાવ્યો છે. સાથે જ ઘણી વસ્તુઓ પર જીએસટીના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે જરૂરી તમામ બાબતોને મોંઘવારીનો માર પડ્યો છે. આ દરમિયાન જીએસટીના નવા દરો લાગુ કરવા અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સિલે રાજ્યોનો ખજાનો ભરવા માટે જીવન જરુરિયાતની વસ્તુઓને 5 ટકા જીએસટીના દાયરામાં સામેલ કરી છે.
કેન્દ્રીય મહેસુલ સચિવ તરુણ બજાજે ખુલાસો કર્યો છે કે જીવન જરુરિયાતની કેટલીક વસ્તુઓ પર 5 ટકા જીએસટી લાગુ પાડવાનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ કેટલાક રાજ્યોએ આગળ આવીને જીએસટી લાગુ પાડવાની ભલામણ કરી હતી કારણ કે તેમને ડર હતો જો જીએસટી લાગુ નહીં પડાય તો તેમને આવકમાં મોટી હાની પહોંચશે આથી તેમણે જીએસટી કાઉન્સિલને 5 ટકા જીએસટી લાગુ પાડવાની ભલામણ કરી હતી અને તેને આધારે કાઉન્સિલે આ નિર્ણય લીધો હતો.
GST on pre-packaged goods/ food packets was levied after some states gave feedback of losing revenues they previously earned from levy of VAT on food items, a top government official said
મહેસૂલ સચિવ તરુણ બજાજનો ખુલાસો
તરુણ બજાજે કહ્યું કે 18 જુલાઈથી લાગુ થયેલા ટેક્સ લગાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારનો નહીં પરંતુ જીએસટી કાઉન્સિલનો છે. તેને ફિટમેન્ટ કમિટી દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું હતું જેમાં કેટલાક રાજ્યો અને કેન્દ્રના અધિકારીઓ છે. "રાજ્યોએ અમને પ્રતિસાદ પણ આપ્યો હતો કે જીએસટી આવતા પહેલા અમને ઘણા પૈસા મળતા હતા અને આપણે કંઈક કરવું જોઈએ," તેમણે જણાવ્યું હતું. બજાજે જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલ મુદ્દાઓની સંપૂર્ણ સમજ સાથે કામ કરી રહી છે અને એક પણ અસંમત રાજ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે.
આટલી વસ્તુઓ પર જીએસટી નહીં
જો કે કઠોળ, ઘઉં, રાઈ, ઓટ્સ, મકાઈ, ચોખા, લોટ, સુજી, બેસન, પફ્ડ રાઈસ અને દહીં/લસ્સી જ્યારે છૂટક વેચાણ કરવામાં આવે અને પ્રિ-પેક્ડ કે પ્રી-લેબલ ન હોય ત્યારે તેના પર કોઈ જીએસટી લાગશે નહીં.
8 જુલાઈથી જીવન જરુરિયાતની કેટલીક વસ્તુઓ પર 5 ટકા જીએસટી
ઉલ્લેખનીય છે કે 18 જુલાઈથી જીવન જરુરિયાતની કેટલીક વસ્તુઓ પર 5 ટકા જીએસટી લાગુ થઈ ગયો છે. જોકે કેટલીક વસ્તુઓને તેમાંથી બાકાત રખાઈ હતી.