ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિને પણ લાગશે મોંઘવારીનું ગ્રહણ, ગરબાના પાસ પર 18 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય કરાતા ચોમેર રોષની લાગણી
સુરતમાં નવરાત્રી ઉત્સવના આયોજનમાં GSTનો મામલો
GSTની વસૂલાત મામલે ગરબા આયોજકોમાં રોષ
GSTની ચોક્કસ ગાઈડલાઈન ન હોવાથી પડી રહી છે મુશ્કેલીઓ
શ્રાવણ માસ શરૂ થયો એટલે સમજો કે તહેવારો શરૂ થયા. રક્ષાબંધન, 15મી ઓગષ્ટ,સાતમ આઠમ, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી..આમ એકબાદ એક ઉત્સવો ઉજવાશે. ત્યારે અત્યારથી જ નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવવા ગરબાપ્રેમીઓ પ્રેક્ટિસમાં લાગી ગયા છે. પરંતુ ખેલૈયાઓને ગરબા રમવા મોંઘા પડશે કારણ કે 2022ના વર્ષથી ગરબાના પાસ પર 18% GST લગાવાયો છે. આ નિર્ણયને લઇને ગરબા આયોજકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
મૂવીઝ ટેક્સ ફ્રી થઇ શકે તો ગરબા કેમ નહી- આયોજક
સુરતમાં નવરાત્રિ ઉત્સવના આયોજનમાં જીએસટીની વસૂલાતને લઇને રોષ જોવા મળી રહ્યો છે. જીએસટીની ચોક્કસ ગાઇડલાઇન ન હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે. આયોજકોનું કહેવુ છે કે સિઝન પાસની કિંમત પર જીએસટી વસૂલાઇ રહી છે ડેઇલી પાસની કિંમત પર જીએસટી વસૂલાતી નથી. શા માટે તહેવારોમાં જીએસટી વસૂલવામાં આવે છે. ગરબા એ ગુજરાતની ઓળખ છે ગુજરાતનો તહેવાર છે. ગુજરાતમાં મૂવી ટેક્સ ફ્રી થઇ શકતી હોય તો ગરબા કેમ નહી ? 10 દિવસના ભેગા પૈસા ઉઘરાવો કે એક દિવસના લો ટિકિટ તો સરખી જ થવાની. પરંતુ 500થી વધુની ટિકિટ પર ટેક્સ ભરવાનું કહેવામાં આવે જે વ્યાજબી ન હોવાનું જણાવ્યું.
નવરાત્રીમાં ગરબા પર 18% GST લગાવાયો
રાજ્યમાં નવરાત્રીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિઝન પાસમાં આ વખતે 18% GST લાગુ પડ્યો હોઇ આ વખતે નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા થશે. અત્રે નોંધનિય છે કે, ડેઇલી પાસ પર GST નહી ચૂકવવો પડે. પરંતુ સિઝન પાસમાં આ વખતે 18% GST લાગશે. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે.
આયોજકોમાં હજુ પણ ગરબાના પાસ ઉપર જીએસટી બાબતે અસમંજસ
રાજ્યભરમાં ગરબા આયોજકો હજી પણ કેટલી આવક ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે અથવા કેટલા રૂપિયાના પાસ ઉપર જીએસટી ચૂકવવો પડશે તે અંગે અસમંજસમાં છે. તો વળી હવે ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં 1,000થી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને 1,000થી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.