નવરાત્રીનું પાવન પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ગરબા પાસ પર GSTને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે એન ભાજપ-કોંગ્રેસ દ્વારા એક બીજા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
ગરબા પાસ પર GSTને રાજકારણમાં ગરમાવો
ભાજપ-કોંગ્રેસના એકબીજા પર આક્ષેપ
મોંઘવારીના નામે કોંગ્રસ તરી જવાની વાત કરી રહી છે
ગરબાના પાસ પર GST લાગુ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગરબાના પાસ પર GSTને લઇ કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, કશ્મીર ફાઈલ્સ જો કરમુક્ત થઇ શકે, તો ગરબા પર GST કેવી રીતે લાગી શકે. છેલ્લા દોઢ વર્શમાં અંબાજીના પ્રસાદના ભાવમાં 80 ટકાનો વધારો થયો છે, ત્યારે અંબાજીના ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પણ રૂપિયા 1 હજાર 500 વસૂલવામાં આવે છે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રવક્તા ડૉ.યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, ગરબા પાસ પર GST લેવામાં આવતો નથી. 500 રૂપિયા વધુ દર સામે અને કોમર્શિયલ ગરબા પર GST લેવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ ગરબા મુદ્દે રાજકારણ કરીને જનમત મેળવવા માગે છે : ડૉ.યજ્ઞેશ દવે
ભાજપના પ્રવક્તા ડૉ.યજ્ઞેશ દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, ગરબા અને મોંઘવારીના નામે કોંગ્રેસ ED નો મુદ્દો ભટકાવા અને કાર્યકરોને ઉશ્કેરી રહી છે. કોમર્શિયલ ગરબામાં 500 રૂપિયાની ટિકિટ સામે 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે. કારણ જે તેની ગણના મનોરંજનમાં થઇ રહી છે. બાકી નાના ગરબાના આયોજનો કે શેરી ગરબાના આયોજન પર કોઈ પ્રકારનો ટેક્સ લગવાયો નથી. તેમણે વળતા જવાબમાં જણાવ્યું કે જીએસટી અને મોંઘવારીના નામે કોંગ્રસ તરી જવાની વાત કરી રહી છે. માતાજીની આરાધના જેવા શબ્દો પ્રયોજી કોંગ્રેસ હકીકત જાણ્યા વગર પ્રજાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ માત્ર ગરબા મુદ્દે રાજકારણ કરીને જનમત મેળવવા માગે છે.
ગરબાના પાસ ઉપર જીએસટી બાબતે આયોજકો અસમંજસ
મહત્વનું છે કે રાજ્યમાં આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે. 2022ના વર્ષથી મોટા ગરબાના પાસ પર 18% GST લગાવાયો છે. બીજી તરફ સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. રાજ્યભરમાં ગરબા આયોજકો હજી પણ કેટલી આવક ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે અથવા કેટલા રૂપિયાના પાસ ઉપર જીએસટી ચૂકવવો પડશે તે અંગે અસમંજસમાં છે. તો વળી હવે ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં 1,000થી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને 1,000થી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.