જીએસટીઆર -૧અને ૩બી રિટર્નમાં ભૂલ થઈ હશે તો હવે વેપારીઓ સુધારા કરી શકાશે. જીએસટી લાગુ થયા બાદ દર મહિને ભરવાના થતા જીએસટીઆર -૧અને ૩બી રિટર્નમાંઅત્યાર સુધી સુધારો કરી શકાતો ન હતો પરંતુ આજથી આ બંને રિટર્નમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવતા વેપારીઓને રાહત મળી છે.
કોઈ પણ વેપારી જીએસટીઆર -૧અને ૩બી રિટર્ન ભરવામાં નાની સરખી ભૂલ કરે તો પણ વેપારી માટે તેમાં સુધારો કરવાની કોઈ જોગવાઈ ન હતી જેના કારણે સાવ સામાન્ય ગણાતી નાની સરખી આંકડાકીય ભૂલપણ જો વેપારી રિટર્ન ભરવામાં કરે તો તેમાં સુધારો નહીં થઈ શકવાનાં કારણે વેપારીને રિફન્ડ લેતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
છેલ્લાં કેટલાંય સમયથી આ સુધારો કરી આપવા માટે વેપારીઓની માગ હતી. જીએસટી કાઉન્સિલ અને કેન્દ્રીય નાણાં પ્રધાનને આ મુદ્દે ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી જેમાં હવે આજથી અમલી બને તેવી રીતે સુધારો કરવામાં આવ્યો છે.
જેને કારણે વર્ષ ૨૦૧૭ -૧૮માં વેપારીઓએ ભરેલા રિટર્નમાં હવે આગામી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં કરેલી ભૂલના સુધારા વેપારી જીએસટીઆર -૧અને ૩બી રિટર્ન કરી શકશે. રિટર્ન ભર્યા બાદ તેમાં સુધારા કરવાની જોગવાઈ ન હતી. તેને કારણે વેપારીઓને પાંચ હજાર રૂપિયા સુધીની પેનલ્ટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી હતી હવે વેપારીઓને આ પેનલ્ટીની રકમ ભરવાથી મુક્તિ મળશે.