કોરોના મહામારીના કારણે BRTS બસ સર્વિસને નદીપાર કરવાની મ્યુનિ.તંત્ર દ્વારા પરવાનગી અપાઇ નથી. જેના કારણે આ બસ સર્વિસ પૂર્વના અને પશ્ચિમના પટ્ટામાં મર્યાદિત રૂટ અને મર્યાદિત બસની સંખ્યામાં દોડી રહી છે. કોરોનાથી BRTS બસ સર્વિસ આર્થિક દૃષ્ટિએ પણ ખોટના ખાડામાં ધકેલાઇને પ્રભાવિત થઇ છે. જોકે BRTS કોરિડોરમાં પુરપાટ દોડતાં સરકારી વાહન જેવાં કે એસટી બસ વગેરે પર કોઇ અંકુશ નથી. કોરોના કાળમાં પણ BRTS કોરિડોરમાં ST બસ યમદૂત પુરવાર થઇ રહી છે. છતાં સરકારી વાહન હોવાના કારણે BRTS તંત્ર નિઃસહાય છે.
BRTS કોરિડોરમાં બસની સ્પીડ પર 50 કિ.મી. મર્યાદા બાંધી
BRTS કોરિડોરમાં પુરપાટ આવતી ST બસે તેમને ટક્કર મારી
સ્પીડ મર્યાદાનો ભંગ કરનાર બસ ઓપરેટર પાસેથી એક લાખની પેનલ્ટી
BRTS કોરિડોરમાં પુરપાટ આવતી ST બસે તેમને ટક્કર મારી
ગઇ કાલે વહેલી સવારે નાનકરામ મીણા નામના 65 વર્ષના વૃદ્ધ એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડની સામે આવેલી ચાની દુકાને ચા પીવા ગયા હતા. તેઓ ચા પીને ચાલતા BRTS કોરિડોરના ઝીબ્રા ક્રોસિંગમાં થઇ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જશોદાનગર તરફથી BRTS કોરિડોરમાં પુરપાટ આવતી ST બસે તેમને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા. આ દુર્ઘટનામાં બસનું પૈડું તેમના માથા પર ફરી જતાં માથું કચડાઇ ગયું હતું. વૃદ્ધનું તો સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે ST બસ દ્વારા BRTS કોરિડોરમાં વધુ એક નાગરિકનો ભોગ લેવાતાં આ બાબત ફરીથી વિવાદાસ્પદ બની છે.
BRTS કોરિડોરમાં બસની સ્પીડ પર 50 કિ.મી. મર્યાદા બાંધી
અગાઉ નવેમ્બર 2019માં પાંજરાપોળ ખાતેની દુર્ઘટનામાં BRTS બસની ટક્કરમાં બે સગા ભાઇનાં કમકમાટીભર્યાં મોત નીપજતાં તેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા BRTS કોરિડોરમાં બસની સ્પીડ પર 50 કિ.મી. મર્યાદા બાંધી દીધી હતી.
સ્પીડ મર્યાદાનો ભંગ કરનાર બસ ઓપરેટર પાસેથી એક લાખની પેનલ્ટી
સ્પીડ મર્યાદાનો ભંગ કરનાર બસ ઓપરેટર પાસેથી એક લાખની પેનલ્ટી વસૂલવી, ખાનગી વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને ટુ અને થ્રી વ્હીલર્સ પાસેથી રૂ.1500, લાઇટ મોટર વિહિકલ પાસેથી રૂ.3000 અને અન્ય વાહન પાસેથી રૂ.5000ની પેનલ્ટી લેવાની જાહેરાત કરાઇ હતી.
BRTS કોરિડોરમાં બેફામ દોડતી ST બસથી કુલ 16 નાગરિક કચડાયા
BRTS બસ સ્ટેન્ડ પર મુકાયેલા એએનપીઆર કેમેરાથી ઇ-ચલણ ફટકારવાની પણ શરૂઆત કરાઇ હતી. BRTS કોરિડોરમાં ફરતી એએમટીએસ બસને પણ તંત્રના આદેશને પગલે તબક્કાવાર હટાવી લેવાઇ હતી. જોકે નવેમ્બર, 2019ની પાંજરાપોળ દુર્ઘટના બાદ પણ ખાનગી વાહનના પ્રવેશના મામલે સ્થિતિ જૈસે થે છે. ખાસ કરી ST બસ પ્રતિબંધ હોવા છતાં BRTS કોરિડોરમાં માંતેલા સાંઢની જેમ દોડી રહી છે. BRTSનાં આધારભૂત સૂત્રો કહે છે કે છેલ્લાં બે વર્ષમાં BRTS કોરિડોરમાં બેફામ દોડતી ST બસથી કુલ 16 નાગરિક કચડાયા છે.
ST બસને BRTS કોરિડોરમાં પ્રવેશવા પર પ્રતિબંધ
તંત્રના એક સર્વે મુજબ BRTS કોરિડોરમાં 50 ટકા જીવલેણ અકસ્માત એસટી બસથી થાય છે. એકસપ્રેસ હાઇવેની દુર્ઘટનામાં BRTS સત્તાવાળાઓ ST વિભાગને નોટિસ ફટકારીને ડ્રાઇવર સામે પગલાં લેવાની તાકીદ કરશે. પરંતુ ST બસને BRTS કોરિડોરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તંત્ર આ મામલે ST વિભાગ વિરુદ્ધ વધુ અસરકારક પગલાં લેવામાં નિઃસહાય છે.
શહેરમાં પ્રવેશતી ST બસ લોકો માટે જોખમી
ST બસને BRTS કોરિડોરમાં ફરવા દેવાને બદલે રોડ પરના સામાન્ય ટ્રાફિકમાં દોડાવવાના મ્યુનિ. કોર્પોરેશનના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. અનેક રૂટ બંધ હોઇ ત્યાંના સ્ટ્રિંગ ગેટને પણ બંધ રાખવાની ફરજ પડી છે. આવા રૂટ પર તો ST બસના ડ્રાઇવર લોકોમાં ભય ફેલાય તેવી તેજ ગતિથી બસ હંકારે છે. વહેલી સવારે સ્ટ્રિંગ ગેટ બંધ હોય તે વખતે શહેરમાં પ્રવેશતી ST બસ લોકો માટે જોખમી બની છે.
રોડ પર શાકમાર્કેટ સહિતનાં દબાણને કારણે BRTS કોરિડોર પર ભીડ
અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ઇસ્કોનથી શિવરંજની BRTS કોરિડોર સહિતના એન્ટ્રી પોઇન્ટ ધરાવતા કોરિડોરમાં ST બસના પ્રવેશથી થતા જીવલેણ અકસ્માતનો મુદ્દો ભાજપના સભ્યોએ મ્યુનિ. તંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો. જોકે તંત્ર દ્વારા સભ્યોને રાબેતા મુજબ આશ્વાસન અપાયું હતું. આમ તો બોપલ-ઘુમા BRTS કોરિડોર જેવા કોરિડોરમાં તો નાનાં-મોટાં તમામ વાહનને કોરિડોરમાંથી ચલાવાઇ રહ્યાં છે. અમુક જગ્યાએ મુખ્ય રોડ પર શાકમાર્કેટ સહિતનાં દબાણને કારણે BRTS કોરિડોર જ વાહનચાલકોને વધુ અનુકૂળ આવી રહ્યો છે. જોકે નવેમ્બર, 2019ની પાંજરાપોળ દુર્ઘટના વખતે દબાણ હટાવવા પર પણ ભાર મુકાયો હતો. આ જાહેરાતનું પણ તંત્રની અન્ય જાહેરાતની જેમ સુરસુરિયું થયું છે.