જેતપુરમાં GSFC ગોડાઉનમાં ખાતરમાંથી કૌભાંડ ઝડપાયુ છે. ત્યારે આ મામલે તોલમાપ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. તોલમાપ વિભાગની તપાસમાં થેલી દીઠ સરેરાશ 400થી 700 ગ્રામ વજનની ઘટ સામે આવી હતી. તપાસ બાદ હવે તોલમાપ વિભાગ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. આ મામલે GSFCના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
મહત્વનુ છે કે, જેતપુરના ગોડાઉનમાંથી એક ખેડૂતે ખાતરની 40 થેલીઓ ખરીદી હતી. તમામ થેલીઓમાં ઓછુ વજન નિકળ્યુ હતુ. થેલીઓમાં 400 ગ્રામ જેટલુ વજન ઓછુ હતુ. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો.
કૌભાંડ સામે આવતા GSFCએ ખાતર ડેપો બંધ કર્યા, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
સમગ્ર કૌભાંડ સામે આવતા GSFCએ ખાતર ડેપો બંધ કર્યા છે. ખાતરના ડેપો બંધ થતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વનુ છે કે, હાલમા નવુ વાવેતર હોવાના કારણે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે. નવા વાવેતર માટે ખેડૂતો ખાતર લેવા માટે છેલ્લા 3 દિવસથી ડેપોના ધક્કા ખાઈ રહ્યા છે.
કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા જનતા રેડ
અમરેલીના બાબરામાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા ખાતર ડેપો પર જનતા રેડ કરવામાં આવી છે. ખાતરની થેલીઓમા સરેરાશ 100થી 500 ગ્રામ ખાતર ઓછું હોવાનું સામે આવી છે. જનતા રેડના પગલે સંચાલકોએ ડેપો બંધ કર્યા છે. ખેડૂતોને પુરતા વજન સાથે ખાતર આપવા માંગ કરી છે.
દિલીપ સંઘાણીનું ખાતર કૌભાંડ મામલે નિવેદન
IFFCOના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીનું ખાતર કૌભાંડ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ખાતરમાં વજનની ઘટ મામલે તપાસ ચાલી રહી છે. તપાસના રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે કૌભાંડ છે કે નહી. કોંગ્રેસ રિપોર્ટ પહેલા કોઇ આક્ષેપ ન લગાવે. GSFC દ્વારા આધુનિક ટેક્નોલોજીથી પેકિંગ કરાય છે. આવી ચુંક થવી અશક્ય છે. આગામી સમયમાં IFFCO નેનો ટેક્નોલોજી ખાતર બનાવશે. નેનો ટેકનોલોજી દ્વારા પ્રવાહી ખાતર બનાવાશે. ટેકનોલોજી આગામી સમયમાં ખેડૂતો માટે આશિર્વાદરૂપ નિવડશે.