કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ગઇકાલે સવારે 8 કલાકે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. ત્યારે હવે ટિખળખોરો દ્વારા કેટલીક અફવાઓ વહેતી કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સના પરિણામના પરિપત્રમાં ખોટી રીતે ચેડાં કરીને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનો કોઈએ ખોટો પરિપત્ર વાયરલ કર્યો છે. જોકે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ અંગે સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી.
12 સાયન્સના પરિપત્ર પરથી કોઈકે ખોટો પરિપત્ર તૈયાર કર્યો
12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10 જૂન પછી જ આવશે
ખોટી સહી સાથે કોઈકે ખોટી રીતે કર્યો છે પરિપત્ર
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનો કોઈએ ખોટો પરિપત્ર વાયરલ કર્યો છે. પરિપત્રમાં ધોરણ 12 સાયન્સના નાયબ નિયામક જે.જી. પંડ્યાની સહી છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં નાયબ નિયામક અવની બા મોરી છે. ત્યારે ખોટી સહી સાથે કોઈકે પરિપત્ર વાયરલ કર્યો છે. જોકે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10 જૂન પછી જ આવશે.
આ પ્રકારે કોઈએ અફવા ફેલાવી છે: એ.જે. શાહ
આ ખોટો પત્ર કોઈ અસામાજિક તત્વએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોકે, આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ચમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે આ પ્રકારે કોઈએ અફવા ફેલાવી છે. હાલમાં અમારી કોઈ તૈયારી નથી. અમારી પાસે પૂરતો મેન પાવર નથી અમે રિઝલ્ટ જાહેર કરવાની કોઈ વિચારણ કરી રહ્યા નથી.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા હજુ જૂન સુધીનો સમય વિતી જશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.