દિલ્હીની વિવિધ બોર્ડર હજારોની સંખ્યામાં ખેડૂતો બે મહિનાથી આંદોલન કરી રહ્યા છે પરંતુ હવે સ્થાનિક ગ્રામીણો જ ખેડૂત આંદોલનની સામે રસ્તા પર આવી ગયા છે.
દિલ્હીમાં થયેલ હિંસા બાદ સ્થાનિકોમાં ભારે રોષ
ખેડૂતોના ધરનાસ્થળની પાસે જ ગ્રામીણોએ કર્યો વિરોધ
ખેડૂત નેતાઓને હાઇવે ખાલી કરી દેવા કહેવાયું
ખેડૂત આંદોલનની સામે ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા
ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ઘણા ટોળાઓએ ખૂબ હિંસા કરી અને ઘણા બધા પોલીસ જવાનો ઘાયલ થયા છે. જોકે લાલ કિલ્લા પર જે ઘટના થઈ તેને લઈને દેશના લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂત આંદોલનની સામે લોકો રસ્તા પર આવી રહ્યા છે.
રાષ્ટ્રધ્વજના અપમાનનો લગાવ્યો આરોપ
દિલ્હીના સિંઘુ બોર્ડર પર આશરે બે મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે ઘણા બધા ગ્રામીણો રસ્તા પર આવી ગયા છે. લાલ કિલ્લામાં થયેલ હિંસાના કારણે ગ્રામીણો ગુસ્સામાં દેખાઈ રહ્યા છે અને આ લોકોએ માંગ કરી કે પ્રદર્શનકારીઓએ તાત્કાલિક હાઇવે ખાલી કરી દેવો જોઈએ. ખેડૂત આંદોલનનો વિરોધ બોર્ડર પર જ થાય તેવી આ પહેલી ઘટના છે, સ્થાનિક લોકો હાથમાં રાષ્ટ્રધવજ લઈને આવ્યા હતા.
#WATCH | Delhi: Group of people claiming to be locals gather at Singhu border demanding that the area be vacated.
આ લોકોએ કહ્યું લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન કરવામાં આવ્યું જે સાંખી ન લેવાય. અમે બધા આટલા દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મદદ કરી રહ્યા હતા પરંતુ ગણતંત્ર દિવસ પર જે ઘટના થઈ છે તેનાથી બધા ખૂબ નારાજ છે.
ખેડૂત સંગઠનોમાં તૂટ
નોંધનીય છે કે દિલ્હીમાં થયેલા ઉપદ્રવ બાદ હવે દિલ્હીના વિવિધ સ્થળોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ખેડૂતોના આંદોલનના ભવિષ્ય પર પણ ઘણા બધા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોની એકતામાં મોટી તિરાડ પડી છે જેમાં બે સંગઠનોએ આંદોલનથી છેડો ફાડ્યો છે.
એક્શનમાં ગૃહમંત્રાલય
દિલ્હી પોલીસ પણ હિંસા કરનારાઓ સામે એક્શનમાં આવી છે, ઘણા બધા ખેડૂત અગ્રણીઑ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને નોટિસ પણ આપવામાં આવી છે જેમાં ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. ખેડૂત અગ્રણીઓ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાના આદેશ ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.