જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું કૌભાંડ ઝડપાયુ છે. 156 જેટલી મગફળીની બોરીઓ ભેળસેળવાળી નિકળતા સીઝ કરવામાં આવી હતી. આજે યાર્ડમાં સીઝ કરાયેલી બોરીઓની તપાસ કરવામાં આવી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગુણીમાં વજન ઓછુ હોવાનું સામે આવ્યું હતું. સાથે જ ભેળસેળવાળી મગફળીની બોરીઓ પણ નિકળી હતી. ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં દરોડા પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ હતી. ખરીદી બાદ મગફળીમાં ભેળસેળ કરાઈ હોવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી.
મગફળીની બોરીઓમાં ભેળસેળ અને ઓછા વજન મામલે વિવાદ
અધિકારીઓ દ્વારા તપાસનો નાટક?
યાર્ડમાં રહેલી મગફળી ખેડૂતોની નથીઃ મામલતદાર
ગુરૂવારે ખેડૂતોએ તપાસ કરતા મગફળીની બોરીઓમાં ભેળસેળ અને બોરીમાં ઓછા વજન મામલે વિવાદ સર્જાયો છે. અધિકારીઓ દ્વારા તપાસનો નાટક કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ધરણા પર બેઠા છે. આજે સવારે અધિકારીઓ માત્ર ઉપરથી તપાસ કરીને નિકળી ગયા હતા. ત્યાર બાદ ખેડૂતો દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય જથ્થામાં પણ ભેળસેળ મળી હતી.
જૂનાગઢ પૂરવઠા વિભાગના અધિકારીએ કલેક્ટરને પત્ર લખ્યો છે. મગફળીની તમામ બોરીના વજન અંગે તપાસ કરવા કડક આદેશ આપ્યો છે. જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રેડિંગ એજન્સી-લેબર કોન્ટ્રાક્ટર, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહીના આદેશ આપ્યા છે. જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના કરી છે. જવાબદાર એજન્સી પાસેથી નાણાકીય વસૂલાત કરવાની કાર્યવાહી પણ કરાશે.
યાર્ડમાં રહેલી મગફળી ખેડૂતોની નથીઃ મામલતદાર
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાંથી ભેળસેળ યુક્ત મગફળી મળી આવી હતી. ત્યારે હવે કોંગ્રેસ કિસાન અધ્યક્ષ અને ખેડૂતોએ તપાસ કરતા અન્ય એક જથ્થામાં પણ ભેળસેળ મળી. ત્યારે હવે આ મામલે મામલતદારે નિવેદન આપ્યું છે કે, યાર્ડમાં રહેલી મગફળી ખેડૂતોની નથી. 2 હજાર જેટલી ગુણીઓમાં ભેળસેળ મળી આવી છે. ભેળસેળવાળી મગફળી વેપારીઓની હોવાની શક્યતા છે.
ગુજરાતમાં ખરીદી માટેની મંજૂરી મેળવવાનું કામ મારૂ છે: ફળદુ
જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીનું કૌભાંડ મામલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ખેત ઉત્પાદનની ખરીદીની મંજૂરી જ કૃષિ વિભાગ મેળવે છે. ગુજરાતમાં ખરીદી માટેની મંજૂરી મેળવવાનું કામ પુરવઠા વિભાગનું છે. સાથે જ ખેત એજન્સીઓની ખરીદીની પ્રક્રિયા પણ પુરવઠા વિભાગની છે. પુરવઠા વિભાગ મારફતે નાફેડ દ્વારા ખરીદી કરાવવામાં આવે છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, જૂનાગઢના યાર્ડમાં કૌભાંડ થયુ હોવાની વાત મારા ધ્યાને આવી નથી.
કૌભાંડ કરનારને જેલના સળિયા પાછળ મોકલોઃ રિબડિયા
જૂનાગઢમાં મગફળીની બોરીમાં ઓછા વજન મામલે ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મગફળીમાં કૌભાંડ આચરનારને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઇએ. સરકાર કૌંભાડીના નામ જાહેર કરી ગુનો દાખલ કરે તેવી પણ માગ કરી છે. તો આગામી વિધાનસભા સત્રમાં મગફળી કૌભાંડનો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી છે. મગફળી ખરીદીમાં ખેડૂતોના નાણાં તાત્કાલિક ચુકવવાની રિબડિયાએ માગ કરી છે.