હાલ ખરીફ સીજનની મગફળીથી બજારો રીતસરની ઉભરાઈ રહી છે. ત્યારે જામનગર યાર્ડમાં નવી મગફળીની મબલખ આવકના કારણે ખરીદી બંધ કરવામાં આવી છે. આવું કેમ ? જાણીને આશ્ચર્ય થશે કે નવી મગફળી માટે યાર્ડ પાસે પર્યાપ્ત જગ્યા જ નથી. ખરીદ કરવામાં આવેલ મગફળી અન્યત્ર ખસેડાયા બાદ જ યાર્ડનું ઓપન માર્કેટ ફરી ઘમધમશે.
અઠવાડિયામાં 27,500 ગુણીની આવક
99 નમ્બર અને 66 નમ્બરની મગફળીની હાલ ભારે માંગ
ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ મહેર કરતાં મુખ્ય પાક મગફળીનું જંગી વાવેતર થતાં નોંધપાત્ર ઉત્પાદન થયું છે.જો કે,માવઠાના કારણે અમુક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય ગયાનું ચિત્ર ઉપસ્યું છે. આ સ્થિતિમાં પણ જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થતાં. યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી. જેના કારણે આવક બંધ કરવાની ફરજ પડી છે. યાર્ડમાં જાહેર હરરાજીમાં ખેડૂતો મગફળી વેંચવા પડાપડી કરતાં એક સપ્તાહમાં મગફળીથી માર્કેટ યાર્ડ ઉભરાઈ ગયું છે.
અઠવાડિયામાં 27,500 ગુણીની આવક
મહા વાવાઝોડાની આગાહીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવનાથી 15 નવેમ્બર સુધી યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. બીજી તરફ એક મણ મગફળીના ટેકાના રૂ.1018 ના ભાવની સામે યાર્ડમાં જાહેર હરરાજીમાં રૂ.750 થી 1280 ભાવ ઉપજે છે. જેના કારણે ઓપન માર્કેટ તરફ ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. મગફળી વેચવા ખેડૂતોએ પડાપડી કરતા આઠ દિવસમાં મગફળીની 27,500 ઉપરાંત ગુણીની આવક થઇ છે.
99 નમ્બર અને 66 નમ્બરની મગફળીની હાલ ભારે માંગ
હાલ જામનગર માર્કેટિંગ યાર્ડ નવી મગફળીથી ઉભરાઈ રહ્યું છે. ભરપુર આવકથી જગ્યા નહિ રહેતા ખરીદી બંધ રાખવામાં આવી છે. માવઠાને કારણે પલળી જતા મગફળીની ગુણવતામાં ઘટાડો નોંધાયો છે. જયારે 99 નમ્બર અને 66 નમ્બરની મગફળીની હાલ ભારે માંગ છે. આ બંને જાતની મગફળી દક્ષીણ ભારતમાં ખુબ માંગ છે. છેક તામીલનાડુથી પણ વેપારીઓ જામનગર સુધી ખરીદી કરવા લંબાયા છે.
આ છે યાર્ડની ઓપન બજારની મગફળીની આવક
તારીખ
મગફળીની ગુણી
ભાવ (20 કિલો)
1 નવેમ્બર
5660
850 થી 1000
2 નવેમ્બર
5665
850 થી 1000
4 નવેમ્બર
3493
900 થી 1280
5 નવેમ્બર
4360
850 થી 1000
6 નવેમ્બર
3579
900 થી 1000
8 નવેમ્બર
3128
800 થી 990
ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન
વેપારીઓએ પણ ખેડૂત લક્ષી અભિગમ દાખવી માવઠાને કારણે થયેલ નુકસાનને લઈને સરકાર ખેડૂતોની મદદ કરે એવી લાગણી દર્શાવી છે. બીજી તરફ યાર્ડમાં ખરીદી બંધ થઇ જતા. મગફળી લઇને આવી ગયેલ ખેડૂતો છેલ્લા ચાર-પાંચ દિવસથી હેરાન થઇ રહ્યા છે. ઉપરાંત કમોસમી વરસાદમાં પલળી ગયેલ મગફળીનો ભાવ પણ ઓછો આંકવામાં આવતો હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યયા છે.
હરાજીની સિઝનમાં 15 હજાર ગુણી મગફળીની આવક
જામનગર માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજીમાં સીઝનમાં દરરોજ મગફળીની 15 થી 18 હજાર ગુણીની આવક થાય છે. જેની સામે હરરાજીમાં રોજ 5 થી 6 હજાર ગુણીનું વેંચાણ થાય છે. આ કારણોસર યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા ન હોય આવક બંધ કરવાની ફરજ પડી છે. જો કે, હરરાજીમાં મગફળીનું વેંચાણ થતાં જગ્યા ખાલી થતાં પુન: આવક શરૂ કરવામાં આવશે. છેલ્લા એક સપ્તાહની ભારે આવકના પગલે હાલ વેપાર બંધ રાખવામાં આવ્યો છે. આગામી ૧૫મી તારીખે પણ વરસાદની આગાહી છે. તેથી પ્લેટફોર્મમાં જગ્યા હશે તો ખરીદી થશે. અન્યથા પરિસ્થિતિ થાળે પડ્યા બાદ ખરીદ પ્રક્રિયા શરુ કરાશે.