ફરી એકવાર સિંગતેલ અને પામોલિન તેલના ભાવ પહોંચ્યા આસમાને, હોટલમાં જમવાનું હવે ભારે પડશે
મોંઘવારીનો પડી રહ્યો છે માર
ખાદ્યતેલના ભાવમાં સતત ઉછાળો
સિંગતેલ અને પામતેલના ભાવ વધ્યા
મોંઘવારીનો માર વધી રહ્યો છે. ગૃહિણીઓએ ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યુ છે. દૂધ, કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હવે ફરી એકવાર તેલના ભાવમાં દર બે દિવસે ભાવ વધારો નોંધાઇ રહ્યો છે. સિંગતેલ, પામોલિન સહિતના ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે આજે ફરી એકવાર સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો નોંધાયો.
સિંગતેલના ભાવમાં રુ.20નો વધારો
સિંગતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. હાલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચ્યો છે. જ્યારે પામતેલના ભાવ પહેલીવાર 2600ને પાર પહોંચ્યા છે. સરકારી તંત્રની સુસ્તી વચ્ચે સંગ્રહખોર અને નફાખોર બે લગામ બન્યા છે. પામતેલમાં છેલ્લા 3 દિવસમાં રૂપિયા 120નો ભાવ વધારો નોંધાયો.
ખાદ્યતેલમાં ભાવ વધારાથી મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો તો બીજી તરફ ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
શું કહે છે વેપારીઓ ?
વેપારીઓનું કહેવું છે કે ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતા ભાવ વધ્યા છે. અને આ વર્ષના અંત સુધીમાં 3 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશનનું કહેવું છે કે, છેલ્લા વર્ષોમાં વિદેશમાં સિંગદાણાની ડિમાન્ડ વધી છે. અને ઓઇલ મિલરોને પુરતા પ્રમાણમાં મગફળી ના મળતા ભાવ વધ્યા છે. લોકલ બજારમાં સિંગતેલની પહેલા કરતા ડિમાન્ડ વધી છે. અને પુરતા પ્રમાણમાં સિંગતેલ પુરુ ના પાડી શકતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂત સંગઠનો માની રહ્યાં છે કે અતિવૃષ્ટિના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો તે સ્વભાવિક છે. પરંતુ ખેડૂતોને મળતા મગફળીના ભાવ અને સિંગતેલના ભાવમાં વિસંગતતા છે.
ઈન્ડોનેશિયાએ ગત સપ્તાહમાં જ નિકાસબંધી જાહેર કરી
મોંઘવારીના માર વચ્ચે ઈન્ડોનેશિયાની નિકાસબંધીના કારણે લોકોને ખાદ્યતેલોમાં ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાદ્યતેલોમાં તેજીનો નવો દોર શરૂ થયો હોમ તેમ આજે પામોલીનમાં વધુ ઉછાળો નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયાએ આજથી નિકાસબંધી કડક કરવાની જાહેરાત કરતા પામોલીન તેલના ભાવમાં ઉછાળો જોવા મળશે.વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ ઈન્ડોનેશિયાએ ગત સપ્તાહમાં જ નિકાસબંધી જાહેર કરી દિધી હતી પરંતુ પામતેલમાં પણ નિકાસબંધી લાગુ પડતી હોવાની જાહેરાત ગઈકાલે કરતા ફરી પામતેલના ભાવ વિશ્વસ્તરે સળગ્યા હતા. ભારતને પણ આની સીધી અસર થઈ રહીં છે ત્યારે તેલ વિક્રેતાના મતે આ ભાવ વધારો મે મહિના સુધી અસર કરશે કેમકે ત્યા સુધીમાં ઈન્ડોનેશિયાના સ્થાનિક માર્કેટમાં 10 દિવસમાં પામતેલનો પુરતો અથવા જરૂરિયાતથી વધુ સ્ટોક થઈ જશે ત્યારબાદ ફરી નિકાસબંધી હળવી થઈ જશે તેથી ફરી પામતેલના ભાવ તેના સ્તરે આવી જશે. અગાઉ સીંગતેલ કરતા અડધા ભાવે વેચાણ પામતેલના ભાવ હવે સીંગતેલની હરોળમાં આવી ગયા છે. પામોલિનનો ભાવ રૂ.૧૬૦૦ની નજીક આવી ગયો છે અને ડબ્બાનો ભાવ રૂ.૨૫૪૦થી ૨૫૪૫ પહોંચ્યો છે.
મહત્વનું છે કે, છેલ્લા એક મહિનામાં જ ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે.તેવામાં હવે ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી છે.જેની અસર ભારતમાં ખાદ્યતેલના બજારો પર પડશે.અને તેનો ભાર આમ આદમીના ખિસ્સા પર પડશે.