મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં લગ્ન દરમ્યાન વરરાજાને શેરવાની પહેરવાનુ ભારે પડ્યુ. જેને લઇને થયેલા વિવાદમાં યુવતી પક્ષના લોકોએ જાનૈયાઓ સાથે મારામારી કરી. હવે પોલીસે બંને પક્ષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
લગ્ન દરમ્યાન વરરાજાને શેરવાની પહેરવાનુ ભારે પડ્યુ
કન્યા પક્ષના લોકોએ શેરવાની પર વાંધો દર્શાવ્યો
પરંપરા મુજબ વરરાજા ધોતી-કુર્તો પહેરીને ફેરા ફરે
પરંપરાને કારણે વિવાદ વધ્યો
ખરેખર, આ અજબ મામલો જિલ્લાના ધામનોદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં માંગબયડા ગામમાં ધારમાંથી જાન આવી હતી. વરરાજાએ શેરવાની પહેરી હતી અને ત્યાંથી વિવાદ શરૂ થયો હતો. કારણકે કન્યા પક્ષના લોકોનુ કહેવુ હતુ કે આદિવાસી પરંપરા મુજબ લગ્નમાં વરરાજાને ધોતી-કૂર્તો પહેરાવવામાં આવે. કન્યા પક્ષના લોકોને વરરાજાએ પહેરેલી શેરવાની પર વાંધો દર્શાવ્યો હતો. તેમ છતાં જ્યારે વરરાજા સુંદરલાલ શેરવાની પહેરીને મંડપમાં ફેરા લેવા પહોંચ્યો ત્યારે કન્યાની કાકીએ વાંધો દર્શાવ્યો અને કહ્યું કે પરંપરા મુજબ કુળદેવી સામે ધોતી-કુર્તો પહેરીને ફેરા લેતા હોય છે. પરંતુ જાનૈયાઓ આ વાત પર હઠ પકડી કે વરરાજા શેરવાનીમાં ફેરા ફરશે. આ મુદ્દે વિવાદ વધ્યો અને બંને પક્ષ વચ્ચે મારામારી થઈ.
પોલીસે કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
આ વિવાદ દરમ્યાન કન્યા પક્ષના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. જેનાથી ઘટનાસ્થળેથી જાનૈયા પક્ષના લોકો ભાગી ગયા. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. સુચના મળતા પોલીસે બંને પક્ષ સામે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.