યુપીના સંભલમાં લગ્નમાં છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં નાની બહેનને બદલે અસ્થિર મગજની મોટી બહેન સાથે યુવાનના લગ્ન કરાવાયા.
યુપીના સંભલમાં લગ્નમાં બની ચોંકાવનારી ઘટના
નાની બહેનને બદલે મોટી બહેન સાથે કરાવાયા યુવાનના લગ્ન
પરણિને ઘેર આવતાં ઘૂંઘટ ઉઠાવતાં ખુલ્યો ભેદ
પરણનાર યુવાને કહ્યું- લઈ જાઓ નહીંતર મરી જઈશ
ધામધૂમથી લગ્ન થયા. જયમાળા પણ થઈ. સાત ફેરા પણ થયા, લગ્ન પણ થયા અને પછી દુલ્હનને લઈને બારાત ખુશી ખુશી ઘેર આવી. અહીં સુધી તો બધુ બરાબર હતું પરંતુ સાસરામાં આવ્યાં બાદ જ્યારે મોં દેખાડવાની વિધિમાં દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવાયો તો બધાના પગ નીચેથી જમીન ખસકી હોય તેવું લાગ્યું.
યુપીમાં સંભલમાં નાની બહેનને બદલે મોટીને યુવાન સાથે પરણાવી દેવાઈ
યુપીના સંભલમાં દાલચંદ નામના યુવાનની સગાઈ પરિવારમાં નાની છોકરી સાથે થઈ હતી. લગ્ન પણ લેવાઈ ગયા હતા. લગ્નની વિધિને કારણે દુલ્હનનું માથું ઘૂંઘટથી ઢંકાયેલું હતું. વિધિ પતાવ્યાં બાદ દુલ્હા અને દુલ્હન પરણીને ઘેર આવ્યાં. ઘેર આવ્યાં બાદ મોં દેખાડવાની વિધિ શરુ કરવામાં આવી. સાસરિયા પક્ષની મહિલાઓએ જ્યારે વહૂના ચહેરા પરથી ઘૂંઘટ હટાવ્યો ત્યારે બધાને આંચકો લાગ્યો કારણ કે બધાને લાગ્યું કે જે છોકરી સાથે સગાઈ થઈ હતી તે આ છોકરી નહોતી. નાનીને બદલે મોટી બહેનને પરણાવી દેવાઈ હતી જે માનસિક અસ્થિર હતી. આ ઘટનાની આખા ગામમાં ખબર પડી ગઈ. લોકોને પણ જાણે આ ઘટનાની કાનાફૂસી કરવાની તક મળી.
દુલ્હાની ધમકી- નાની સાથે લગ્ન નહીં થાય તો મરી જઈશ
વર પક્ષનો આરોપ છે કે નાની બહેન સાથે સગાઈ હતી અને તેની સાથે લગ્ન નક્કી કરાયા હતા. પરંતુ તેની મોટી બહેનના લગ્ન કરાવી દેવામાં આવ્યા છે, જે માનસિક રીતે નબળી છે. આ મામલે સમાજ વચ્ચે પંચાયત પણ થઈ હતી. પરંતુ કોઈ ઉકેલ ન આવતા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. બીજી તરફ યુવતી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે દહેજની માંગણી માટે આ બધુ નાટક રચવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોતાને પીડિત ગણાવતો વરરાજા ન્યાયની માંગ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ.