ગ્રીષ્માની હત્યા બાદ આરોપીએ પોતાના હાથ પર છરીના ઘા માર્યા હતા જેથી ટુંકી સારવાર બાદ કામરેજ પોલીસે સિવલ હોસ્પિટલથી હત્યારાની ધરપકડ કરી છે.
સુરતમાં એકતરફી પ્રેમમાં યુવતીની હત્યાનો મામલો
ગ્રીષ્માના હત્યારાની કામરેજ પોલીસે કરી ધરપકડ
સુરત સિવિલ હોસ્પિટલમાંથી આરોપીની ધરપકડ કરાઈ
સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે હત્યારા ફેનિલની કામરેજ પોલીસે ઘરપકડ કરી લીધી છે. કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયાની ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. જે બાદ સુરત સહિત ગુજરાત ભરમાં આ સનકી હત્યારાને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. મહત્વનું છે કે આરોપીએ ઘાતકી રીતે ગ્રીષ્માની હત્યા બાદ ઝેરની ગોળી લઈ હાથની નસ કાપી નાખી હતી. જે બાદ હત્યારાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
ડોકટરોએ રજા આપતા હત્યારા ફેનિલની ધરપકડ થઈ
ડૉક્ટરના જણાવ્યા અનુસાર હત્યારાએ પોતે નસ કાપી ન હતી માત્ર ઉપરની ચામડી પર જ ઘા માર્યા હતા જેથી 10 જેટલા ટાંકા લાગાવવામાં આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ઈલાજ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે હત્યારા ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવામાં આવ્યા નથી. ત્યારે ડોક્ટરે આજે રજાની પરમીશન આપતા હાજર પોલીસ કામરેજ પોલીસ કર્મચારીઑએ ઉપરી અધિકારીને જાણ કરી હત્યારાની ધરપકડ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો.છેલ્લા ત્રણ દિવસથી આરોપી સારવાર હેઠળ હતો.
ગ્રીષ્મા બચાવો બચાવો કરગરતી હત્યારે બેહીચક સરાજાહેર ગળું કાપી નાખ્યું
13 ફેબ્રુઆરીએ બનેલા આ બનાવ પર નજર કરીએ તો છેલ્લા ઘણા દિવસથી હત્યારો ફેનિલ યુવતી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી અને તપાસના આપ્યા આદેશ આપ્યા
સુરતની દિકરી ગ્રીષ્માને આજે ભાવભીની વિદાય આપવામાં આવી જેમા મોટી સંખ્યામા લોકો તેની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ત્યારે ગ્રીષ્માની હત્યા મામલે CM ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવાર સાથે વાતચીત કરી છે.વીડિયો કોન્ફરન્સથી થયેલી પરિવાર સાથે વાતમાં CMએ કડક કાર્યવાહી અને તપાસના આપ્યા આદેશ આપ્યા હોવાનું કહ્યું હતુ. સાથે જ પરિવારને આ દૂખની ઘડીમાં દિલાસો પણ આપ્યો હતો અને ઝડપી ન્યાય મળશે તેવી બાંહેધરી આપી હતી.
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
મોટી સંખ્યામાં લોકો આજે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમા તેમણે તેને ભાવભીની વિદાય આપી હતી. યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખમાં પામી જોવા મળ્યા હતા. ખાસ કરીને ગ્રીષ્માના પરિવાર ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી પરિસ્થિતીમાં જોવા મળ્યો હતો. અંતિમયાત્રામાં કામરેજ ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાએ પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી. સાથેજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા હતા અને પરિવારજનોને મળીને તેમને સાંત્વના આપી હતી આ સિવાય ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ પરિવારની મુલાકાત કરી હતી.