ક્યારેક કોઈ ભૂલની એવી સજા થતી હોય છે કે પછી એ ભૂલ કાયમ કરવાનું મન થઈ આવે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓની આવી ભૂલોનો સરવાળો આજે પરિસરમાં ગ્રીનરી બનીને ઊડીને આંખે વળગી રહ્યો છે. તમને એ સવાલ થશે કે ભૂલ અને આ હરિયાળીને શું લેવાં દેવાં? તો ચાલો ભૂલ અને હરિયાળીનો સંબંધ જાણવા જોઈએ આ રિપોર્ટ.
વિવિધ પ્રકારના લીલાછમ વૃક્ષો અને ફૂલછોડથી શોભતું આ પરિસર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું છે. પરિસરને આ રીતે વનરાજીથી સમૃદ્ધ થવા પાછળ અનેક વિદ્યાર્થીઓની ભૂલોનો સરવાળો જવાબદાર છે. આ સાંભળીને તમને આંચકો લાગશે પરંતુ વાત સાચી છે. કેમ કે, સામાન્ય રીતે શાળા કે કોલેજમાં કોઈ વિદ્યાર્થીને ભૂલની સજા રૂપે ક્લાસરૂમમાંથી હકાલપટી કે વધારે હોમવર્ક જેવી સજા કરવામાં આવતી હોય છે. પરંતુ આ યુનિવર્સિટીનાં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર વિભાગનાં નિયમનોની વાત ન્યારી છે.
આ વિભાગનાં વિદ્યાર્થીઓને શિસ્તભંગની સજાનાં ભાગરૂપે કેમ્પસમાં વૃક્ષારોપણ કરવાની સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં પોતાને થયેલી સજા ને ભૂલી જવા માંગતા હોય છે, પણ અહીંયાં જે વૃક્ષારોપણની સજા કરવામાં આવે છે તેને વિદ્યાર્થીઓ ગૌરવ સાથે યાદ રાખે છે. વિદ્યાર્થીઓ પણ આ સજાને હોંશે હોંશે સ્વીકારી રહ્યાં છે.
પરિસરમાં વૃક્ષારોપણ કરવાની સજા બની મજાઃ
આજથી લગભગ 12 વર્ષ પહેલાં આર્કિટેક્ચરનો વિભાગ શરૂ કરવામાં આવ્યો ત્યારે આ આખું કેમ્પસ વેરાન વગડા જેવું હતું, આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓને અનેક પ્રોજેકટ કરવાના હોય છે તેમ આઉટડોર એક્ટિવિટી એક મહત્વનો ભાગ હોય છે, જેને દરેક વિદ્યાર્થીઓને થતી હળવી સજા સાથે જોડી દેવામાં આવ્યો. વિદ્યાર્થી સમયસર એસાઇનમેન્ટ સબમિટ ના કરે, કલાસરૂમમાં મોબાઈલ ફોન નો ઉપયોગ કરે કે પછી સમયસર પ્રોજેકટ પૂરો ન કરે તો તેમને પરિસરમાં વૃક્ષારોપણ કરવાની સજા કરવામાં આવે છે અને આ તેનું જ પરિણામ છે કે, આજે આખું કેમ્પસ લગભગ 500 જેટલા વૃક્ષો અને જુદા જુદા ફૂલછોડથી આચ્છાદિત થઈ ગયું છે.
આ પ્રકારની સજાનો ખ્યાલ સૌ પ્રથમ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરનાં પ્રોફેસર મેહુલ પટેલે વ્યક્ત કર્યો હતો. કેટલીક સજાઓ રચનાત્મક કાર્યો માટે હોય છે. હળવા ગુનામાં કોર્ટ કે મેજિસ્ટ્રેટ દ્વારા પણ કેટલીક વાર સમાજસેવા કરવાની સજા કરાવામાં આવતી હોય છે. ત્યારે વીર નર્મદ યુનિવર્સિટીનાં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર વિભાગની આ પહેલ પ્રશંસાને પાત્ર છે અને સમયની માંગ પણ છે.