પ્લાસ્ટિકના વપરાશ ઉપર રોક લગાવવા માટેના બે સૌથી અસરકારક રસ્તા એક બાયો ડીગ્રેડેબ્લ ગ્રીન પ્લાસ્ટિક અર્થાત જમીનમાં કુદરતી રીતે ભળી જાય તેવા પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ અને બીજું પરંપરાગત પ્લાસ્ટિકનું રિસાઈકલિંગ છે. જો કે આ બંનેનું અમલીકરણ કરવું એ કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૨ સુધી રાષ્ટ્રીય સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનું આહ્વાન કર્યું છે તેને અંતર્ગત ઉત્પાદનકર્તાઓએ બાયોડીગ્રેડેબ્લ પ્લાસ્ટિકનું સર્ટીફીકેટ મેળવવાની કવાયત હાથ ધરી છે.
ગ્રીન પ્લાસ્ટિક કેવી રીતે ટેસ્ટ થાય છે?
પ્લાસ્ટિકના તેના નેગેટીવ અને પોઝીટીવ સેમ્પલ્સ સાથે તાપમાન નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવે છે.
એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાને મુકીને સ્ટાર્ચ સેમ્પલ છુટું પાડવામાં આવે છે
ત્યાર બાદ વૈજ્ઞાનિકો આ બચેલા પ્રવાહી રસાયણોમાંથી છુટા પડી રહેલા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ માપે છે.
જયારે બચેલું મટીરીયલ કાદવ જેવું થઇ જાય છે ત્યારે તેને નર્સરીમાં મૂકી દેવામાં આવે છે જ્યાં તેની અંદર ટામેટા મરચા જેવા છોડને રોપવામાં આવે છે.
જો આ મટીરીયલમાં છોડ ઉગી નીકળે તો તેને બાયો ડીગ્રેડેબ્લ પ્લાસ્ટિક કહે છે.
આ સમગ્ર પ્રક્રિયા ૬ થી ૮ મહિનાનો સમય લે છે.
અમદાવાદની સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક એન્જીનીરીંગ એન્ડ ટેકનોલોજીના પરીક્ષણ કેન્દ્રમાં પોતાના પ્લાસ્ટિકને બાયો ડીગ્રેડેબ્લનું પ્રમાણપત્ર આપવા માટે ૫૦ જેટલી અરજીઓ આવી છે. જો કે ઉપર જણાવેલ તમામ પરીક્ષણો ક્રમશ: કરવા એ સમય માંગી લે તેવી અને ખર્ચાળ પ્રક્રિયા છે. આમ ગ્રીન પ્લાસ્ટિક ધાર્યા કરતા મુશ્કેલ પ્રક્રિયા છે.
ગ્રીન પ્લાસ્ટિક ટેસ્ટ કરવામાં શું સમસ્યાઓ છે?
આ પ્રક્રિયા માટે જરૂરી કાચા માલ તરીકે સ્ટાર્ચની જરૂર પડે છે જે ભારતમાં બનતું નથી એને તેને આફ્રિકા અને જર્મનીથી આયાત કરવું પડે છે.
આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબ પ્રક્રિયામાં વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાની પણ જરૂર પડે છે.
અમદાવાદના પ્લાસ્ટિકના એક ઉત્પાદકે જણાવ્યું હતું કે પરંપરાગત રીતે પ્લાસ્ટિક બેગ બનાવવી એ બાયો ડીગ્રેડેબ્લ પ્લાસ્ટિક બેગ બનાવવા કરતા વધુ સહેલી છે. પ્લાસ્ટિકની થેલીઓના ઉત્પાદક અને વિક્રેતા બંને બાયો ડીગ્રેડેબ્લ પ્લાસ્ટિકના ભાવના કારણે તેને ખરીદતા કચવાય છે. આ માટે તેના ભાવ અને તેની બનાવટને સહેલી કરવી ખુબ જરૂરી છે.
ઓલ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના સુત્રો મુજબ ૫૧ માઈક્રોનની થેલી જે કાયદેસર છે તેની બનાવટ કરતા બાયો ડીગ્રેડેબ્લ પ્લાસ્ટિકની થેલીઓ ૩.૫ થી ૪ ગણી મોંઘી પડે છે. ગુજરાતના બહુ ઓછા ઉત્પાદકો બાયો ડીગ્રેડેબ્લ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. મોટા ભાગના રાજ્યની બહારથી આઉટ સોર્સ કરે છે.
અમદાવાદના ઘન કચરાના AMCના આંકડા
અમદાવાદમાં દર રોજ ૩૭૦૦ ટન ઘન કચરાનું નિર્માણ થાય છે આ પૈકી ૧૦% એટલે કે ૩૭૦ ટન પ્લાસ્ટિક હોય છે.
પ્લાસ્ટિક રીસાઈકલ કરવામાં કઈ સમસ્યા આવે છે?
નિષ્ણાતોના મતે પ્લાસ્ટિક ચોક્કસથી રીસાઈકલ કરી શકાય તેવી પ્રોડક્ટ છે. અલબત્ત ભારતમાં ૬૦% પ્લાસ્ટિક રીસાઈકલ થાય છે.
પરંતુ પ્લાસ્ટિકને રીસાઈકલ કરવા માટે સૌથી જરૂરી એ છે કે કચરાનું વ્યવસ્થિત વર્ગીકરણ થાય. દરેક દેશમાં તમામ જગ્યાએ કચરો સુકો કચરો, ભીનો કચરો, ઈલેક્ટ્રોનિક કચરો, ધાતુનો કચરો, પ્લાસ્ટિક કચરો વગેરે સુવ્યવસ્થિત કેટેગરીમાં વર્ગીકૃત થાય.
પ્લાસ્ટિકમાં પણ PET પ્લાસ્ટિક, પોલીપ્રોપેલીન પ્લાસ્ટિક, પોલિસ્ટાયરીન પ્લાસ્ટિક, PVC પ્લાસ્ટિક વગેરે અલગ અલગ પ્રકારો હોય છે. આ જુદા જુદા પ્રકારોની રીસાઈકલીંગ પ્રક્રિયા પણ જુદી જુદી હોય છે. આથી પહેલા તેમને છુટા પાડવા જરૂરી છે.
પ્લાસ્ટિકની થેલીઓને રીસાઈકલ કરવા માટે તેમને સાફ કરવી જરૂરી છે. પરંતુ મોટા ભાગે કચરા આવેલી પ્લાસ્ટિકની થેલીમાં પહેલેથી ઘરેલું કચરો ભરેલો હોય છે. આ સડી ગયેલો અને ચોંટી ગયેલો કચરો થેલીમાંથી કેવી રીતે હટાવવો એ પણ એક મોટો પ્રશ્ન છે.