અમદાવાદ નારોલ ખાતે CETP કંપનીની ચૂંટણી આજ રોજ યોજાઈ હતી. જેમાં ગ્રીન ગુજરાત પેનલના 15 ઉમેદવારો વિજયી થયા હતાં. જ્યારે કૌભાંડના પગલે નીતિન ઠક્કર અને લલિત ચમરિયા જૂથનો કારમો પરાજય થયો હતો.
અમદાવાદમાં નારોલમાં CETP કંપનીમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં નીતિન ઠક્કર અને લલિત ચમરિયા જેમના પર કૌભાંડનો આરોપ લાગ્યો હતો તેમનો પરાજય થયો હતો. મહત્વનું છે કે ગ્રીન ગુજરાતની પેનલે આ ચૂંટણીમાં નીતન ઠક્કરના નામનો વિરોધ કર્યો હતો. ગ્રીન ગુજરાત પેનલે 100 કરોડ કૌભાંડને પગલે ચૂંટણી પહેલા નીતિન ઠક્કર અને લલિત ચમરિયાનો વિરોધ હતો.
આ ચૂંટણીમાં 122 મેમ્બરમાંથી 4 મત સિવાય 100 ટકા મતદાન થયુંઃ નરેન્દ્ર પટેલ
નારોલ CETP કંપનીના ચૂંટણી કમિશનર નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નારોલની CETP કંપની પાણીને ટ્રિટ કરે છે, સરકારના ગાઇડલાઇન મુજબ ચાલે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ગેર સમજોના કારણે અસંતોષ હતો. જેને લઇને ચૂંટણીનું આયોજન કરાયું હતું. આ ચૂંટણીમાં 122 મેમ્બરમાંથી 4 મત સિવાય 100 ટકા મતદાન થયું છે. આખી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે. ચૂંટણીમાં 21 ઉમેદવારોને જીતેલા જાહેર કર્યા છે. હવે આગામી સમયમાં તમામ 122 સભ્યો સાથે મળીને કામગીરી કરશે.
ચૂંટણી અગાઉ મતદારોને ગેરમાર્ગે દોરવા નીતિન ઠક્કર અને લલિત ચમરિયાએ કર્યા હતા પ્રયાસ
ચૂંટણી જીતવા નીતિન ઠક્કર અને લલિત ચમરિયા હવાતિયાં માર્યા હતા. નીતિન ઠક્કર અને લલિત ચમરિયાએ ગ્રીન ગુજરાત પેનલના 21 પૈકી 5 ઉમેદવારોને પોતાની પેનલમાં બતાવ્યાં હતા. જેને લઇને ગ્રીન ગુજરાત પેનલ દ્વારા નીતિન ઠક્કરનો વિરોધ હતો. અનેક કૌભાંડના આક્ષેપ જેમના પર થયા છે તે નીતિન ઠક્કર પોતાની 21 સભ્યોની પેનલ પણ બનાવી શક્યા નહોતા.
જોકે ગ્રીન ગુજરાતના તમામ ઉમેદવારોએ એકતા દર્શાવી હતી. ગ્રીન ગુજરાત પેનલે જણાવ્યું હતું કે, નીતિન ઠક્કર, લલિત ચમરિયાનુ 100 કરોડનું કૌભાંડ છે. નીતિન ઠક્કરે વીટો પાવરથી બહારની કંપનીને CETP સોંપ્યો છે. ટેન્કરો ઠાલવી CETPની ગુણવત્તા બગાડી છે.
શું છે CETP કંપનીના પ્રદૂષણ કૌભાંડનો મામલો?
અત્રે ઉલ્લેખનીય છે કે, નારોલ ખાતેના ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ એકમોના એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ગેરરીતિ સામે આવી હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે જે મોટું ફંડ ફાળવવામાં આવે છે, પરંતુ તેનું ઇચ્છનિય પરિણામ નહીં મળવા પાછળ પણ આ CETP દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ જ જવાબદાર છે. કેન્દ્ર સરકારે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં સાબરમતીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. પરંતુ નારોલ CETPના ડાયરેક્ટરોએ CETPને પોતાની કમાણીનું સાધન બનાવી દીધું હોવાથી નદીના શુદ્ધિકરણના સરકારના પ્રયત્નો સફળ થઇ રહ્યા નથી. સરકારે CETPની રચના માટે રૂ. 100 કરોડથી વધુ રકમ ફાળવી અને નદીના શુદ્ધિકરણ માટે પણ પ્રયત્નશીલ છે પરંતુ નારોલ CETPના નીતિન ઠક્કર, લલિત ચમારિયા અને ઘનશ્યામ ત્રિવેદીએ જીપીસીબીની મંજૂરી કરતાં વધારે પાણી નદીમાં ઠાલવીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે.
CETP કંપનીના પ્રદૂષણ કૌભાંડ મામલે હવે પરફોર્મન્સની તપાસ થશે
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી CETP કંપનીના પ્રદૂષણ કૌભાંડ મામલે હવે પરફોર્મન્સની તપાસ થશે. કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીના પેરામીટરની પણ ચકાસણી થશે. ત્યારે હવે વિવાદોમાં ઘેરાયેલી CETP કંપનીમાં નીતિન ઠક્કર, લલિત ચમરિયાના એકહથ્થુ શાસન બાદ ચૂંટણી યોજાઇ હતી. જેમાં નીતિન ઠક્કર અને લલિત ચમારિયાની પેનલનો પરાજય થયો છે.
CETP દ્વારા 23 MLDના બદલે 70-80 MLD પ્રદૂષિત પાણી છોડવામાં આવતું
મહત્વનું છે કે, આ મામલે અનેક વખત કોન્સ્ટિટ્યૂશન કમિટીને મૌખિક રજૂઆત મળેલી છે. CETPને 23 MLD પાણી છોડવાની જ મંજૂરી અપાઈ છે. જોકે CETP દ્વારા 70-80 MLD પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. CETPમાં મંજૂરી વગરના એસિડિક મટિરિયલના ટેન્કર આવતા હતા. GPCBના 23 MLD ડિસ્ચાર્જના આદેશનું પણ ઉલ્લંઘન થયુ. મંજૂરી વગર એસો.ને NTIEM પાસેથી કરોડોની લોન મેળવી લીધી.
નીતિન ઠક્કર, લલિત ચમરિયા અને ઘનશ્યામ ત્રિવેદીએ CETPનું અયોગ્ય સંચાલન કર્યું
લલિત ચમરિયાએ લાઇનોની દલાલીના અક્ષેપો બાદ પણ પદ છોડ્યું નહોતું. આ મામલે ડાયરેક્ટર્સ અને કર્મચારી માટે CETP કમાણીનું સાધન છે. નીતિન ઠક્કર, લલિત ચમરિયા, ઘનશ્યામ ત્રિવેદી શંકાના દાયરામાં છે. અગાઉ મંજૂરી વગર જ CETPમાં એસિડિક મટિરિયલના ટેન્કરો આવતા હતા. અંકલેશ્વર સહિતના એસ્ટેટથી એસિડના ટેન્કરો આવતા હતા. જોકે ડાયરેક્ટર લલિત ચમરિયા પાણીની લાઈનમાં દલાલીમાં જ વ્યસ્ત હતા.
ત્યારે સવાલ થાય છે કે, દર મહિને 67.50 લાખના બદલે 1.35 કરોડ કેમ ચૂકવાય છે ? એસ્ટેટના સભ્યોને NTIEMમાં વર્ષો સુધી સભ્યપદ કેમ ન અપાયુ ?
બંધારણીય કમિટીએ તમામ કંપનીઓને સભ્ય બનાવી ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસો.ના હિસાબો ચેરિટી કમિ.માં જમા કેમ ન કર્યા ? તત્કાલિન પ્રમુખ નીતિન ઠક્કરે એસો.ના હિસાબો કેમ જમા ન કરાવ્યા ?