રાજ્યમાં જાણે ચોમાસુ વિદાય થવાનું નામ નથી લેતું. જીવનની આશા જેવું ચોમાસું આ વખતે ખેડૂતો માટે કહેર બની ગયું છે. આ સિઝનમાં અત્યારે જ્યાં હરિયાળી જોવા મળવી જોઈએ ત્યાં ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે.
જગતના તાતના હાથમાં આવેલ કોળિયો છીનવાયો
વરસાદને કારણે ખરીફ પાકને મોટું નુકસાન
ખેતરોમાં ચોતરફ થવાયું પાણીનું સામ્રાજ્ય
આ સિઝનમાં સામાન્ય રીતે અત્યારે ખેડૂતો પાકની લણણીની તૈયારી કરતા હોય છે તેના બદલે ખેડૂતો લાચાર બનીને ખેડૂતોમાં ઘુમરાતા પાણીને જોઈને નિસાસા નાખી રહ્યા છે. કેમ તે જગતના તાતના હાથમાં આવેલો કોળિયો બીજા કોઈએ નહીં પરંતુ ખુદ મેઘાએ જ છીનવી લીધો છે.
મેઘો ભૂલ્યો ભાન
આ વખતે મેઘો મહેરબાની વરસાવવામાં એવું તો ભાન ભૂલી ગયો છે તે હવે જગતના તાત માટે જાણે કહેરવાન બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જ છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા આસપાસના ઘેડપંથમાં સામાન્ય રીતે આ સમયે અહીં ખેતરમાં લહેરાતા પાક અને મગફળીનો તૈયાર પાક જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લાં કેટલાક દિવસથી અવિરત રીતે વરસી રહેલા પાછોતરા વરસાદે અહીં ખેતરો પર પાણીનું સામ્રાજ્ય સર્જી દીધું છે. આ પાણી નીચે ખેડૂતોની પરસેવાની કમાણી હવે કોહવાઈ ગઈ છે. ખેડૂતોનો તૈયાર થઈ ગયેલા પાક પર પાણી ફરી વળ્યા છે. એક તરફ ખેડૂતોના પાક પાણીમાં કોહવાઈ ગયા છે તો બીજી તરફ પશુઓના ઘાસ ચારા પર પણ પાણી ફરીવળ્યા છે. ખેડૂતો લાચાર બનીને સરકાર પાસે મદદ માગી રહ્યા છે..
ખરીફ પાકને નુકસાન
પોરબંદરના ઘેડ પંથકમાં આમ તો દર વખતે પાણી ભરાવાની સમસ્યા તો રહે જ છે જો કે ઓછો વરસાદ હોય તેવા સંજોગોમાં અહીં ભરાતું પાણી શિયાળા માટે પાકને ફાયદો કરાવનારું બને છે. પરંતુ ભારે અને સતત વરસાદમાં આ વર્ષે ઘેડ પંથકમાં ભરાયેલું પાણી ખરીફ પાકને તો નુકસાન કરનારું બન્યું જ છે સાથે શિયાળું પાકની આશા પર પણ પાણી ફેરવી દીધુ છે. કેમકે આટલા વિશાળ પ્રમાણમાં ખેતરોમાં ભરાયેલું પાણી જ્યારે ઓસરશે ત્યારે શિયાળુ પાકની વાવણનો સમય પણ સમાપ્ત થઈ ગયો હશે
ખેડૂતને પડ્યો બેવડો માર
આથી ખેડતોનો બેવડો માર પડયો છે. આ વખતે આ હાથમાં આવવાની તૈયારી વાળો પાક કોહવાઈ ગયો છે અને શિયાળું વાવેતરની હાલ કોઈ ઉજળી આશા દેખાતી નથી. .જો કે, સરકારે વહેલી તકે પાક નુકસાનીનો અંદાજ કાઢવા ચાર વિમા કંપનીઓને જવાબદારી સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
20 જેટલા ગામો બન્યા સંપર્ક વિહોણા
અવિરત વરસાદના કારણે જૂનાગઢ અને પોરબંદરનો ઘેડ પંથક પાણીમાં ડૂબી ગયો છે. સમગ્ર ઘેડ પંથકમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે 20 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. કુતિયાણા, માણાવદર, કેશોદના 50 જેટલા ગામને અસર થઇ છે. ભાદર-1, ભાદર-2, વર્તુ અને ઓઝત ડેમનું પાણી એક સાથે છોડવામાં આવ્યું છે. જેના કારણે ઝળબંબાકાર સર્જાયો છે. પાણી છોડતા પહલા તંત્ર દ્વારા કોઇ જાણ પણ નથી કરાઇ. આથી વાડી વિસ્તારમાં રહેતા અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા જેમને NDRF અને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવકામગીરી હાથ ધરવી પડી હતી.
સરકારી મદદ સામે મીટ માંડીને બેઠા છે લોકો
કુદરતની લીલા અકળ છે. એ હજાર હાથે આપે છે ત્યારે કશું હાથમાં આવતું નથી. પરંતુ આ કુદરતી આપત્તિ સામે ઝઝુમવું એ હમેંશા માનવજાતની નિયતિ રહી છે. પરતું જ્યારે નાગરિકોને સરકારની મદદ મળે છે ત્યારે તેને આ આપત્તિ હળવી લાગે છે. એટલે જ તો નાગરિકો સરકાર સામે મદદની મીટ માંડીને બેઠા છે.