તૌકતે વાવાઝોડાની અસરને લઈ રિલાયન્સથી જામનગર-રાજકોટ રોડને ગ્રિન કોરિડોર જાહેર કરાયો, તો બીજી તરફ રાજકોટમાં પણ કોવિડ સેન્ટરથી ઓક્સિજન પ્લાન્ટ સુધી ગ્રિન કોરિડોર બનાવ્યો
રિલાયન્સથી જામનગર-રાજકોટ માર્ગ ગ્રીન કોરિડોર જાહેર
વાવાઝોડાને લીધે ઓક્સિજન સપ્લાય ન ખોરવાય તે માટે આયોજન
22 ગામના 29 હજાર લોકોનું સ્થળાંતર કરાશે
રિલાયન્સથી જામનગર-રાજકોટ માર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાયો છે. કારણ કે, લિક્વિડ ઓક્સિજનની મોટા પ્રમાણમાં જામનગરથી સપ્લાઈ થઈ રહી છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક દેશમાં ટ્રક જઈ રહ્યા છે. ત્યારે 17 અને 18મી તારીખે વાવાઝોડાની અસરથી આ સપ્લાઈને અસર ન પહોંચે તેની કાળજી લેવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે કોવિડ સેન્ટર અને દર્દીઓને હાલાકી ઉભી ન થાય તેના માટે કેન્દ્ર દ્વારા પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે. તો જામનગરના કલેક્ટરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ઓક્સિજન સપ્લાય જાળવી રાખવા કેન્દ્ર સરકારની સૂચનાનું પાલન થઈ રહ્યું છે.
જામનગરમાં આર્મી, એરફોર્સ અને નેવીની ટીમને પણ તૈનાત રખાઈ હોવાની વાત જિલ્લા કલેક્ટરે કરી છે. 200 SSB જવાનોને પણ સ્ટેન્ડ બાય રખાયા છે. જરૂર પડ્યે એરફોર્સના હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. 22 ગામના 29 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. આ સાથે કોવિડ હોસ્પિટલના આઠ અને નવમા માળના દર્દીઓને શિફ્ટ કરાશે.
રાજકોટમાં પણ ગ્રિન કોરિડોર જાહેર કરાયા
રાજકોટમાં વાવાઝોડાના પગલે રાજકોટ તંત્ર સતર્ક થયું છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહને આ અંગે નિવેદન કરતા જણાવ્યુ છે કે લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. કોવિડ હોસ્પિટલમાં પાવર બેકઅપની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમજ ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી પહોચાડવા માટે ગ્રીન કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાતં તેમણે જણાવ્યુ હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ લોકો કોઝ-વે પુલિયા પરથી શક્ય હોઈતો પસાર કરવાનું ટાળે. તેમજ હોર્ડિગ ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ઊર્જા પ્રધાન સૌરભ પટેલે વિદ્યુત કર્મચારીઓને કર્યા તૈનાત
તો આ સાથે ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે પણ જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગુજરાત વિદ્યુત કંપનીના 2 હજાર કર્મચારીઓને ખાસ આ કામગીરી માટે તૈનાત કરી દેવાયા છે. જો કોઈ જગ્યાએ વીજળીને લગતી સમસ્યા આવશે. તો તેની તુરંત સમાધાન કરવા માટે કર્મચારીઓ તૈયાર છે.
CM વિજય રૂપાણીનું નિવેદન
તૌકતે વાવાઝોડાને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. ત્યારે વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે સરકાર કટીબદ્ધ છે. તમામ માછીમારો અને અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાપટ્ટી ઉપર વસતા લોકોનું આવતીકાલથી સ્થળાંતર શરૂ કરાશે. સીએમ રૂપાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમા 85 ICU એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદને સાવચેત કરાયા છે. અને કાચા મકાનો, હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આપી છે. સાથે જ કોવિડ હોસ્પિટલમા ફરજિયાત જનરેટર રાખવાની સૂચના આપવામાં આવી છે.