ભારતીય રેલ્વેએ એક વિચિત્ર પ્રકારનો જ આદેશ અમલમાં મુક્યો છે. જેમાં શ્વાન પર કેમેરા લગાવવામાં આવશે અને જે રેલ્વે સ્ટેશન પર નજર રાખશે. જે 26 જાન્યુઆરીથી વિશાખાપટ્ટનમમાં શરુ થશે જો આ આઈડિયા સફળ રહેશે તો દેશના તમામ રેલ્વે સ્ટેશન પર લાગુ પાડવામાં આવશે.
શ્વાન પર કેમેરા લગાવીને ટ્રેન અને રેલવે સ્ટેશન પર નજર રખાશે
જીપીએસની મદદથી કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ પણ કરવામાં આવશે
કેમેરાની સફળ પ્રયોગને જોઈને દેશના અન્ય મુખ્ય રેલવે સ્ટેશન પર પણ કેમેરાવાળા શ્વાનને તૈનાત કરવામાં આવશે
દેશની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) હવે શ્વાન પર કેમેરા લગાવીને ટ્રેન અને રેલવે સ્ટેશન પર નજર રાખશે. આ આઈડિયાની શરૂઆત ર૬ જાન્યુઆરીથી વિશાખાપટ્ટનમથી કરી દેવાઈ છે. આ ડિવિઝનમાં એક મહિનાના ટ્રાયલમાં ૪ શ્વાન પર કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. રેલવે બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, કેમેરાની સફળ પ્રયોગને જોઈને દેશના અન્ય મુખ્ય રેલવે સ્ટેશન પર પણ કેમેરાવાળા શ્વાનને તૈનાત કરવામાં આવશે. એક શ્વાન પર બે પ્રકારના કેમેરા લગાવવામાં આવશે.
એક તેના ગળા પર અને બીજો તેના ગળામાં બાંધેલ બેલ્ટ પર લગાવવામાં આવશે. જો કે, વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર કેમેરા માત્ર શ્વાનના ગળા પર જ લગાવ્યો છે. આ કેમેરાનું રેકોર્ડિંગ થશે જેનાથી હેન્ડલર સ્ટેશન કે ટ્રેનની પરિસ્થિતિઓની જાણકારી પોતાની ઓફિસમાં જ બેઠા-બેઠા જોઈ શકશે. રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ દત્ત વાજપેયીએ કહ્યું કે,આરપીએફ પાસે દેશભરમાં આશરે ર૯૮ શ્વાન છે. ધીમે-ધીમે દરેક ડોગ પર કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાને જીપીએસની મદદથી કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ પણ કરવામાં આવશે. તેની મદદથી કંટ્રોલ રૂમમાં જ બેસીને રેલવે સ્ટેશન કે ટ્રેન પર નજર રાખી શકાશે.