નર્મદા: 1994માં નર્મદામાં આવેલા શૂલપાણેશ્વર મંદિરનું નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. અસલ મંદિરે પણ ચૈત્રી અમાસે ત્રણ દિવસનો મેળો ભરાતો હતો. તે પ્રમાણે મદયપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓનો લોકમેળો માણી તેમજ દર્શન કરી ધન્યતા અનુભવે છે.
જોકે અસલ મંદિર મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે આવેલું હતું. પરંતુ નર્મદા બંધ બનવાને કારણે તે 1994માં ડૂબમાં જવાથી ગુજરાત સરકારે અહીં નવું મંદિર ગોરા ખાતે બનાવ્યું અને અહી પણ પરંપરાગત મેળો ભરાય છે.
નર્મદા બંધની પાછળ આવેલ ભુગુતુન્ગ પર્વત નજીક મહાદેવે તેમના ત્રિશુલથી અંધકાસુર રાક્ષસનો વધ કર્યો હતો. પરંતુ આ અંધકાસુર જાતે બ્રાહ્મણ હતો જેને લઇ ભગવાન શિવજીને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. ત્યારબાદ શિવજીએ તેમનું ત્રિશુલ પર લાગેલ રક્તને અહીં નર્મદા નદીમાં સાફ કર્યું હતું.
તેથી આ જગ્યાને શૂલપાણેશ્વર મહાદેવ તરીકે સ્થાપિત થયું હતું. આ દિવસે ચૈત્રી અમાસ હતી અને દેવોએ મેળો ભર્યો હતો. ત્યારથી અહીં મંદિરે માનવ મહેરામણ ઉમટે છે અને મેળો ભરાય છે.