ભાવનગર: શહેરમાં આજે પરશુરામ જન્મ જયંતી ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી. ભાવનગર બ્રહ્મસમાજ દ્વારા આજે સવારે આખલોલ જકાતનાકા પાસેથી એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ શોભાયાત્રામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે મેયર નિમુબેન બાંભણીયા જીતુ વાઘાણી વગેરે જોડાયા હતા. આ યાત્રામાં બ્રહ્મસમાજના લોકો મોટી સઁખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં 1000થી વધુ બાઈક સવારો તેમજ જીપ બગી સહિતના વાહનો પણ જોડાયા હતા.
મહત્વનું છે કે પરશુરામ જન્મ જયંતીની સાથોસાથ ભાવનગરના આજે 296માં વર્ષમાં પ્રવેશ નિમિતે ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા મહારાજાઓની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાવનગરના રાજવી પરિવારોના આવેલા સમાધિ સ્થળ પર આજે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી મેયર નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
આજે સવારે દરબારીકોઠાર વિસ્તારમાં આવેલ મહારાજા ભાવસિંહજી તેમજ કૃષણકુમારસિંહજીની સંધિ સ્થળે આગેવાનોએ પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત મહાનુભાવોએ ભાવનગરના અલગ-અલગ વિસ્તારમાં આવેલ મહારાજાઓની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પી હતી. આજે સાંજે ભાવનગરના જન્મદિન નિમિતે કેક કટિંગ તેમજ વિવિધ મહાનુભાવોનો સન્માન સમારોહ અને કિર્તીદાન ગઢવીના ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.