આવતી કાલે ખોડલધામાં પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી, 10 હજાર LED સ્ક્રિન લગાવવામાં આવી, 10 લાખ લોકો વર્ચ્યુઅલી જોડાશે
આવતી કાલે ખોડલધામાં પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી
કોરોનાને ધ્યનમાં રાખી વર્ચ્યુઅલી થશે ઉજવણી
10 હજાર LED સ્ક્રિન લગાવવામાં આવી
આવતીકાલે 21 જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ ખાતે પંચવર્ષીય પાટોત્સવની હરખભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે હાલ દિનપ્રતિદિન કોરોના વાઈરસના જે પ્રમાણે કેસ સામે આવી રહ્યા છે. તેના કારણે પાટોત્સવમાં લાખોની મેદની હાજર ન રહેતા વર્ચ્યુલ પાટોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખોડલધામમાં આવતીકાલે 1 કુંડી મહાયજ્ઞ કરાશે. મંદિરના શીખરે ધ્વજારોહણ ખાસ પૂજા અર્ચના કરવામાં આવશે જેમાં લાઇવ ટેલીકાસ્ટથી લાખો લોકો આ પાટોત્સવ નિહાળશે.
કેવી છે તૈયારી?
પાટોત્સવ અંતર્ગત 10,000 જેટલી એલઇડી સ્ક્રીન માં 10 લાખથી પણ વધુ લોકો પાટોત્સવ લાઈવ નિહાળી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ લેઉવા પાટીદાર સમાજના દિકરા અને દીકરીઓ દ્વારા પંચવર્ષીય પાટોત્સવના કાર્યક્રમ ને દિવાળીની જેમ ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે હાલ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં લેઉવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને દ્વારા પોતાના ઘરઆંગણે દીવડાઓ પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ સામાન્ય રીતે આપણે ત્યાં રંગોળી વાઘબારસથી લઈ ભાઈબીજ સુધી ઘર આંગણે કરવાનો એક રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. ત્યારે લેવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને દ્વારા પંચવર્ષીય પાટોત્સવ અંતર્ગત પોતાના ઘરઆંગણે જ રંગબેરંગી રંગોળી અને દીવા કરી ખોડલધામ રૂબરૂ ન જતાં ઘરે રહીને જ પાટોત્સવને ભવ્ય બનવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
પાટોત્સવ પહેલા ડોક્યુમેન્ટ્રી રિલીઝ
સૌરાષ્ટ્રના કાગવડમાં ખોડલધામ મંદિરનો પાંચમાં પાટોત્સવની ઉજવણીની તૈયારી ધામધૂમથી ચાલી રહી છે ત્યારે ટ્રાવેલ ગાઇડ તરીકે જાણીતી 13 વર્ષીય શિવાલીએ ખોડલધામ મંદિર ના સર્જનથી લઇ પાંચ વર્ષ સુધીની સફરની એક ખાસ ડોક્યમેન્ટ્રી તૈયારી કરી યૂ ટ્યુબ ઉપર લોન્ચ કરી છે. ખોડલધામ મંદિરના માં ખોડલના ભવ્ય દર્શનની ઝાંકી પણ ડોક્યુમેન્ટ્રી લોન્ચ કરી દેવામાં આવી છે. આંતર રાષ્ટ્રીય સ્તરનું પ્રોડક્શન કરી આ ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે. ખોડલધામના નરેશ પટેલ દ્વારા શિવાલીની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેઓ શિવાલીની ઇન્ટરવ્યુ લેવાની કળા, રિસર્ચને લઇ અભિભૂત થયા હતા. હાલ આ ડોક્યમેન્ટ્રી યૂ ટ્યૂબ ઉપર જોવાઇ રહી છે.
"21 જાન્યુ.ના ધાર્મિક કાર્યક્રમો વર્ચ્યુઅલી થશે"
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી આ મહોત્સવ યોજવા માટે સમગ્ર ખોડલ ધામ અને પાટીદાર સમાજ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ખુદ નરેશ પટેલ પણ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી, સમાજને એકત્રિત થવા નિમંત્રણ આપી આવ્યા હતા. પરંતુ, ત્રીજી લહેરની ભયાવહ આશંકાઓ અને વધતા સંક્રમણના કારણે આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.ખોડલધામમાં યોજનારા વર્ચ્યુઅલ પાટોત્સવ કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો ઓનલાઈન જોડાઈને ઉજવણી કરશે.
ખોડલધામ મંદિરની વિશેષતા
શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી.જેનો વિચાર નરેશ પટેલને 2002માં મિત્રો સાથે વાત કરતાં આવ્યો હતો.
તે એક વિશાળ વ્યાપક હિન્દુ મંદિરોમાંનું એક છે, જેનો વિસ્તાર 299 ફૂટ લાંબો, 253 ફૂટ પહોળો અને 135 ફૂટ ઊંચો છે, જે વિશાળ વિસ્તારને આવરે છે. આ ભવ્ય મંદિરમાં મા ખોડિયારની મૂર્તિઓની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બુટભાવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ અને મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે.