અમદાવાદના ગોકુલધામ ડેવલપર્સને GPCBએ તેમના નિયમોનો ભંગ કરવા બદલ રેરાની ભલામણને આધારે નોટિસ ફટકારી છે. આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ 30 દિવસમાં જવાબ આપવાનો પણ આદેશ અપાયો છે.
અમદાવાદના ડેવલોપર્સને નોટિસ ફટકારાઈ
GPCB ફટકારી નોટિસ
RERA ની ભલામણને આધારે નોટિસ
અમદાવાદના ગોકુલધામ ડેવલપર્સને અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા તેના અલગ અલગ પ્રોજેક્ટ્સને લઇને વોટર એક્ટ 1974ના સેક્શન 33(A) હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 2007માં ગોકુલધામ ડેવલપર્સને 2007માં તેમના વિવિધ પ્રોજેક્ટ માટે Environmental Compensation (EC) અને Consent to Establish (CTE)ની મંજૂરી આપી હતી.
આ મુદ્દે RERAએ GPCBને લખ્યો પત્ર
જો કે ત્યાર બાદ પર્યાવરણને લગતા અને ખાસ કરીને પાણીને લગતા વિવિધ નિયમોના ઘોર ઉલ્લંઘનની સતત ફરિયાદોના પગલે રેરાને આ મુદ્દે GPCBને 9/10/20ના રોજ પત્ર લખીને ભલામણ કરવાની ફરજ પડી હતી જે અન્વયે GPCBએ ગોકુલધામ ડેવલપર્સને નોટિસ ફટકારી હતી.
આ મુદ્દે GPCBના ઇન્સ્પેક્શન અધિકારીઓએ ફરિયાદ કરાયેલ સાઈટોની 19/10/20ના રોજ મુલાકાત લીધી હતી જેમાં તેમને તેમને GPCBની શરતોનું ઉલ્લંઘન હોવા મળ્યું હતું.
CTEની પરમિશન રિન્યૂ કરાવી જ નહીં
ગોકુલધામ ડેવલપર્સે CTE માટે 2007માં મંજૂરી લીધી હતી. આ મંજૂરી 5 વર્ષમાં એક્સપાયર થઇ જાય છે પરંતુ 2012માં ગોકુલધામ ડેવલપર્સે આ મંજૂરીને રીન્યુ કરાવી જ નથી. આ ઉપરાંત તેઓ GPCBની સૂચનાઓનો પ્રત્યુત્તર પણ આપી રહ્યા નથી. ગોકુલધામ ડેવલપર્સ અંતર્ગત કેટલીક સાઈટોમાં GPCBની NOC પરમિશન પણ લેવામાં આવી નથી.
ગંદા અને ગટરના પાણીના નિકાલનું યોગ્ય આયોજન જ નહીં
આ ઉપરાંત GPCBને જાણવા મળ્યું છે કે ગોકુલધામ ડેવલપર્સના કેટલાક પ્રોજેક્ટમાં ફ્રેશ વોટર અલગથી બનાવેલ બોરવેલ વડે મેળવવામાં આવે છે જયારે નિયમ મુજબ આ પાણી AUDAના સપ્લાયમાંથી મેળવવું ફરજિયાત છે.
આ ઉપરાંત ગંદા પાણી અને સુએજના નિકાલ માટે ગંભીર ફરિયાદો ઉઠી છે. GPCBએ જણાવ્યું છે કે કેટલાક પ્રોજેક્ટ સુએજના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ને બદલે સેપ્ટિક સિસ્ટમ વાપરી રહ્યા છે. અધૂરામાં પૂરું જે પ્રોજેક્ટ STP વાપરે છે તેઓ STPની લોગબુક પણ જાળવતા નથી.
કેટલાક પ્રોજેક્ટસનું સુએજ અને ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર સીધું જ નજીકના ફાર્મમાં અથવા રસ્તા ઉપર ટ્રીટમેન્ટ વગર ડિસ્પોઝ થાય છે. આ ઉપરાંત ઘણા પ્લાન્ટમાં STP હોવા છતાં તેમાં ડિસઈન્ફેક્ટન્ટ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી.
30 દિવસમાં નોટિસનો જવાબ આપવા જણાવાયું
આ તમામ મુદ્દાઓને તાત્કાલિક ધોરણે ધ્યાને લઇને તેને સુધારવા અને આ નોટિસનો યોગ્ય જવાબ આપવા માટે ગોકુલધામ ડેવલપર્સને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
આ વિવાદસ્પદ પ્રોજેક્ટને AUDAએ મંજૂરી કેવી રીતે આપી તે એક સવાલ
ઉલ્લેખનીય છે કે જે-તે સમયે આ વિવાદાસ્પદ પ્રોજક્ટ્સને મંજૂરી AUDA ના CEOએ આપી હતી. આ અધિકારી હાલમાં સચિવાલયમાં એક મહત્વના ખાતામાં સચિવ તરીકે ફરજ બજાવે છે. રસપ્રદ વાત એ છે કે આ અધિકારીના પરિવારના નજીકના સભ્ય જ હાલમાં GPCBના ઈન્ચાર્જ છે.
3000થી વધુ રહીશોની ફરિયાદ
એવું જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ્સમાં રહેતા 3000થી વધુ રહીશોએ આ મુદ્દે GPCBના ધારાધોરણના નિયમોના પગલે જરૂરી એક્શન લેવા માંગ કરી છે. ગુજરાત રેરાએ આ બાબતે ગંભીર નોંધ લેતા GPCBને યોગ્ય પગલાં લેવા ભલામણ કરી છે.
અમદાવાદમાં પોશ વિસ્તારમાં આવેલા છે પ્રોજેક્ટ
GPCB દ્વારા ગોકુલધામ ડેલપર્સને અપાયેલી નોટિસમાં આ કંપનીના અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા અલગ અલગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જેમાં બોડકદેવ, એસ.જી હાઈવે, પ્રહલાદ નગર જેવા વિસ્તારોમાં આવેલા 78@ગોકુલધામ, પેસફિકા મીડોઝ, ગાલા લોટસ, ગાલા એક્વા, સફલ આમ્રકુંજ, ગ્રીન વિલા, KP વિલા, KP કોર્ટયાર્ડ, રિવેરા ગ્રીન્સ, ગ્રીન પાર્ક, ગોકુલધામ આર્કેડ વગેરે જેવા પ્રોજેક્ટનો સમાવેશ છે.
અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે આ ગ્રુપ
મહત્વનું છે કે 3 વર્ષ અગાઉ આ જ ગ્રુપ અમદાવાદ નજીક આવેલી સાણંદના સનાથળમાં ગોકુલધામ ટાઉનશીપની જમીનને લઈને વિવાદ સામે આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસે 500 કરોડના જમીન કૌભાંડને લઈને સવાલ ઉઠાવ્યાં હતાં. જેમાં કોંગ્રેસે યોગ્ય પરવાનગી વગર જ આ જમીન ડેવલપર્સને આપી દેવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.