હાઈકોર્ટ દ્વારા મોરબી પુલ દુર્ઘટના મામલે મોરબી પાલિકાને જવાબ આપવાનો મોકો આપ્યો હતો. ત્યારે પાલિકા દ્વારા વકીલ મારફતે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જે શહેરી વિકાસ વિભાગે માન્ય રાખ્યો નથી.
મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતાં પહેલાં સરકારની છેલ્લી તક
વકીલ મારફતે આપેલ જવાબને શહેરી વિકાસ વિભાગે માન્ય રાખ્યો નથી
હવે જો પાલિકા જવાબ રજૂ ન કરે તો પાલિકા ગમે ત્યારે સુપર સીડ કરાશે
મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતા પહેલા સરકાર દ્વારા પાલિકાને છેલ્લી તક આપવામાં આવી છે. જેમાં સરકારે પુલ દુર્ઘટનામાં કારણદર્શક નોટિસનો જવાબ 16 મી ફેબ્રુઆરી સુધી આપવાનો એક મોકો આપ્યો છે. ત્યારે વકીલ મારફતે આપેલ જવાબને શહેરી વિકાસ વિભાગે માન્ય રાખ્યો નથી. શહેરી વિકાસ વિભાગે પાલિકાને જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે ફાઈનલ જવાબ 16 ફેબ્રુઆરી સુધી આપવા અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારે હવે જો પાલિકા જવાબ રજૂ ન કરે તો પાલિકા ગમે ત્યારે સુપરસીડ કરાશે.
સરકાર દ્વારા પાલિકાને જવાબ રજૂ કરવા મોકો આપ્યો હતો
હાઈકોર્ટ દ્વારા મોરબી પુલ દુર્ઘટના મામલે પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે માટે નોટિસ ફટકારીને એક સપ્તાહમાં જવાબ આપવાની મુદ્દત પાલિકાને આપી હતી. ત્યારે પાલિકા દ્વારા વકીલ મારફતે જવાબ આપ્યો હતો. જે શહેરી વિકાસ વિભાગે માન્ય રાખ્યો ન હતો.
જયસુખ પટેલની રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરાયો છે. જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે હજુ સુધી પોલીસ દ્વારા કંઈ જણાવવામાં આવ્યું નથી. મહત્વનું છે કે, પુલ દુર્ઘટના બાદથી ફરાર જયસુખ પટેલે ગત 31મી ડિસેમ્બરે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જયસુખને આશરો આપનાર સામે પણ થઈ શકે છે કાર્યવાહીઃ સરકારી વકીલ
આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે. ચીફ ઓફિસરે આપ્યું હતું પાયાવિહોણું નિવેદન
આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું હતું. મોરબી પાલિકાએ દુર્ઘટનાને લઈ આ પુલનો વહીવટ કરતી સંસ્થા ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અમારા દ્વારા પરમિશન નહોતી અપાઈ હતી છતાં આ સંસ્થાએ ઝૂલતા પુલને ખુલ્લો મુકી દીધો હતો. આ મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.