દેશની સંસદમાં આજે ફોન ટેપિંગ વિવાદ મામલો ચર્ચામાં રહ્યો હતો. વિપક્ષના નેતાઓએ તેના પર સવાલો ઉઠાવ્યા હતા. હવે લોકસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે નિવેદન આપ્યું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સંસદના સત્રના એક દિવસ પહેલા પેગાસસ જાસૂસીનો રિપોર્ટ આવવો સંયોગની વાત નથી તેની પાછળ એક ષડયંત્ર હોવાનું લાગી રહ્યું છે.
તેમણે ફોન ટેપિંગથી જાસૂસીનો આરોપ ખોટો ગણાવ્યો છે. સંચાર મંત્રીએ કહ્યુ કે, તેના તથ્ય ગેરમાર્ગે દોરનારા છે અને તેમાં કોઈ દમ નથી.
સંચાર મંત્રીએ ટાઇમિંગ પર ઉઠાવ્યા સવાલ
લોકસભામાં આ મુદ્દે જવાબ આપતા સંચાર મંત્રીએ રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટોનું આવવું સંયોગ ન હોઈ શકે. હંગામા વચ્ચે વૈષ્ણવે કહ્યુ કે, રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ખુબ સનસનીખેજ સ્ટોરી ચાલી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવવામાં આવ્યા. સંસદના સત્રના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવ્યો છે. આ સંયોગ ન હોઈ શકે. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે Pegasus સોફ્ટવેરના ઉપયોગથી ભારતમાં અનેક પત્રકારો, નેતાઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમ છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે.
16 મીડિયા સમૂહોના રિપોર્ટમાં હતો ફોન ટેપિંગનો દાવો
રવિવારે રાતે 16 મીડિયા સમૂહોની સંયુક્ત તપાસ બાદ જારી થયેલા રિપોર્ટમાં કહેવાયું કે ઈઝરાઈલની એક હેકિંગ કંપનીએ દુનિયાભરમાં સરકારોની જાસૂસીમાં મદદ કરી છે. આ રિપોર્ટમાં દુનિયાભરના 180 વધારે રિપોર્ટરો અને સંપાદકોની ઓળખ કરાઈ છે જેમને સરકારોએ દેખરેખ હેઠળ રાખ્યાં છે. આ દેશોમાં ભારત પણ સામેલ છે જ્યાં સરકાર અને પ્રધાનમંત્રી મોદીની ટીકા કરનાર પત્રકારોને પણ દેખરેખ હેઠળ રખાયા હતા.
કેવી રીતે કરે છે પેગાસસ સોફ્ટવેર કામ?
પેગાસસ એક મેલવેર છે જે આઈફોન અને એન્ડ્રોઈડ ડિવાઈસને હેક કરી લે છે. આ માલવેર મોકનાર વ્યક્તિ તે ફોનમાં રહેલા મેસેજ, ફોટો અને ઈમેઈલ સુદ્ધા જોઈ શકે છે. એટલું જ નહીં આ સોફ્ટવેર તે ફોન પર આવતા કોલ પણ રેકોર્ડ કરી શકે છે. આ સોફ્ટવેરથી ફોનના માઈકને ગુપ્ત રીતે એક્ટિવ કરી શકાય છે.