સરકારે નવેમ્બરનો જૂનો ઠરાવ રદ્દ કરતા રાજ્યની સરકારી યુનિવર્સિટી સરકારની પૂર્વ મંજૂરી વિના પણ ભરતી કરી શકશે.
યુનિવર્સિટી હવે સરકારની પૂર્વ મંજૂરી વિના ભરતી કરી શકશે
3 વર્ષ માટે હંગામી ધોરણે ખાલી જગ્યાઓ ભરી શકાશે
ભરતી પ્રક્રિયા રોકાઈ જવાના કારણે પડતી હતી મુશ્કેલી
રાજ્યની યુનિવર્સિટીઓને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યની સરકારી યુનિવર્સિટી હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના ભરતી કરી શકશે. ભરતી પ્રક્રિયા રોકાઈ જવાના કારણે કુલપતિએ આ અંગે સરકારને રજૂઆત કરી હતી. જ્યાર બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નવેમ્બરનો જૂનો ઠરાવ રદ કર્યો છે. આથી, હવે યુનિવર્સિટી ૩ વર્ષ માટે હંગામી ધોરણે ખાલી જગ્યાઓની ભરતી કરી શકશે.
મોટા સમાચાર: હવેથી ગુજરાતની સરકારી યુનિવર્સિટી સરકારની પૂર્વ મંજૂરી વિના 3 વર્ષ માટે હંગામી ધોરણે ખાલી જગ્યાઓને ભરી શકશે, રાજ્ય સરકારે નવેમ્બરનો જૂનો ઠરાવ રદ કર્યો#GovernmentUniversity@CMOGuj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 17, 2022
વિવાદિત ઠરાવના પગલે યુનિ.ઓના કુલપતિઓમાં નારાજગી ફેલાઈ હતી
જણાવી દઇએ કે, નવી રચાયેલી સરકાર દ્વારા ગત નવેમ્બરમાં યુનિ.ઓની સત્તા પર કાપ મૂકતા તમામ પ્રકારની ભરતી કરતા પહેલાં સરકાર સાથે પરામર્શ કરીને પૂર્વ મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો. પરંતુ સરકારના આ વિવાદિત ઠરાવના પગલે યુનિ.ઓના કુલપતિઓમાં નારાજગી ફેલાઈ હતી અને તમામ યુનિ.ઓમાં ભરતી પ્રક્રિયા રોકાઈ ગઇ હતી. આથી કુલપતિઓએ આ બાબતે રજૂઆત કરતા અંતે સરકારે અગાઉનો ઠરાવ રદ કરી તેમાં સુધારા સાથે નવો ઠરાવ પસાર કર્યો છે. જે મુજબ રાજ્યની યુનિ.ઓ એક્ટ પ્રમાણેની ચૂંટણી કરી શકશે તેમજ હંગામી અને મહેકમ સામે ખાલી પડેલી જગ્યાઓ ત્રણ વર્ષની મુદતમાં સરકારની મંજૂરી વગર ભરી શકશે.
યુનિ.ઓ હવે પોતાની રીતે હંગામી ભરતી કરી શકશે
યુનિ. ખાતે મંજૂર મહેકમની જગ્યાઓ પર વયનિવૃતિ, અવસાન કે રાજીનામા કે વીઆરએસ સહિતના કારણોના લીધે ખાલી પડેલી જગ્યાઓ જો રદ ન થઈ હોય કે અબેયન્સમાં ન ગઈ હોય તો તેવી જગ્યાઓને યુનિ.ઓ 2019ના પરિપત્રથી ભરવાની કાર્યવાહી કરી શકશે. મોટું આર્થિક હિત સંકળાયેલ હોય તેવી નાણાંકીય બાબતો માટે એકલ અધિકારથી નિર્ણય લેતા પહેલાં સરકાર સાથે પરામર્શ કરવાનો રહેશે.
નાણાંકીય બાબતોના નિર્ણયો પણ કરી શકશે
જો કે યુનિ.ના એક્ટ મુજબ નાણાંકીય બાબતો માટે રચાયેલ સમિતિ અથવા સિન્ડીકેટ દ્વારા લેવામા આવેલા નાણાંકીય બાબતોના નિર્ણયો બાબતે સરકાર સાથે પરામર્શ કરવાનું નહીં રહે. આમ યુનિ.ઓ હવે પોતાની રીતે હંગામી ભરતી કરી શકશે અને ખાલી જગ્યાઓ પોતાની રીતે ભરી શકશે. તેમજ એક્ટ મુજબ ચૂંટણી પણ કરી શકશે અને સિન્ડીકેટની મંજૂરીથી નાણાંકીય બાબતોના નિર્ણયો પણ કરી શકશે. નોંધનીય છે કે, સરકારે 3 નવેમ્બર 2021નો પરિપત્ર રદ કર્યો છે.